UN Report On World Population: મંગળવારે (15 નવેમ્બર) વિશ્વની વસ્તી તેના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. વિશ્વની વસ્તી આઠ અબજને વટાવી ગઈ છે. 2030 સુધીમાં પૃથ્વી પર વસ્તીનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધીમાં 970 કરોડ અને 2100 સુધીમાં 1040 કરોડ થવાનો અંદાજ છે. યુએનના રિપોર્ટમાં માનવીની સરેરાશ ઉંમર વિશે દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં તે 72.8 વર્ષ છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી નવ વર્ષનો વધારો થયો છે.
Advertisement
Advertisement
રિપોર્ટમાં 2050 સુધીમાં માનવીની સરેરાશ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ પુરૂષો કરતા સરેરાશ 5.4 વર્ષ વધુ જીવે છે. મહિલાઓની સરેરાશ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની સરેરાશ ઉંમર 68.4 વર્ષ હોવાનો અંદાજ છે.
યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલ આ વાર્ષિક વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક વસ્તી 1950 પછી તેના સૌથી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં ઘટીને એક ટકાથી પણ ઓછી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક વસ્તી 7 થી વધીને 8 અબજ થવામાં 12 વર્ષ લાગ્યા છે, જ્યારે 2037 સુધીમાં તે 9 અબજ સુધી પહોંચી જશે.
વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં ભારત આ વર્ષે ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2023 સુધીમાં ભારત ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. રિપોર્ટમાં 2080ની આસપાસ વિશ્વની વસ્તી 1040 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
વિશ્વની અડધી વસ્તી આ દેશોમાં હશે
વાર્ષિક વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 27 વર્ષમાં વિશ્વની અડધી વસ્તી તો માત્ર 8 દેશોમાં રહેતી હશે. મતલબ કે આ આઠ દેશોની વસ્તી વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં ભારત, પાકિસ્તાન, કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયામાં વિશ્વની 50 ટકા વસ્તી હશે. આનો અર્થ એ થયો કે આ આઠ દેશો આગામી કેટલાક વર્ષોમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવનારા દેશ બની જશે.
સૌથી વધારે પાકિસ્તાની નાગરિકોએ છોડ્યો દેશ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2010 અને 2021 વચ્ચે પાકિસ્તાનના સૌથી વધુ નાગરિકોએ દેશ છોડીને અન્ય દેશોમાં પોતાનું ઘર બનાવ્યું છે. રિપોર્ટ અનુસાર, 2010થી 2021 વચ્ચે લગભગ 1.65 કરોડ પાકિસ્તાનીઓએ પોતાનો દેશ છોડીને અન્ય દેશોની નાગરિકતા લીધી છે. આ યાદીમાં ભારત બીજા ક્રમે છે, જ્યાં 35 લાખ લોકો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થયા છે. આ પછી બાંગ્લાદેશના 29 લાખ, નેપાળના 16 લાખ અને શ્રીલંકાના 10 લાખ નાગરિકોએ દેશ છોડીને અન્ય દેશની નાગરિકતા મેળવી છે.
Advertisement