ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ તબક્કામાં 63.18 ટકા મતદાન થયુ છે. ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજા તબક્કાની બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચારમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણમાં એક સમાનતા જોવા મળે છે. બન્ને નેતાઓ કોંગ્રેસનો ભૂતકાળ યાદ કરીને પ્રહાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જૂની ચોપડી ખોલી હોય તેમ ફરી હુલ્લડ અને કરફ્યૂની વાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
Advertisement
Advertisement
આણંદના સોજિત્રામાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં એક જાતને બીજી જાત જોડે, શહેરના ગામડા સાથે, ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે લડાવ્યા અને ભાગલા પાડ્યા, એના કારણે આપણુ ગુજરાત કમજોર થતું ગયું. છાશવારે પહેલા હુલ્લડો થતા, કર્ફ્યૂની રોજ વાત થતી, ખંભાતમાં અવાર નવાર મુસીબત આવતી હતી. 25 વર્ષમાં એકતાના કારણે ભાજપ પડખે ઉભા રહી એકતા માટે વોટ આપ્યા એટલે સ્થિતિ બદલાવા લાગી. પીએમ મોદીએ લોકોને સવાલ કરતા કહ્યુ કે- હવે આ બધા રંજાડવાવાળા લાઇન પર આવી ગયા કે નહીં? હુલ્લડો બંધ થયા કે નહીં? કરફ્યૂ ગયો અને શાંતિ, એકતા સદભાવનાનું વાતાવરણ બન્યું.
અમિત શાહે કલોલમાં એક જનસભાને સંબોધતા કહ્યુ હતુ કે, ભાજપને મત એટલે દેશની સુરક્ષા, સલામતી, સમૃદ્ધિ અને યુવાઓના ભવિષ્યને મત. અમિત શાહે કહ્યુ, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળ્યા બાદ કોમી હુલ્લડો અને કરફ્યૂનું નામો નિશાન મટી ગયુ છે, 2002માં કોંગ્રેસે તેની નીતિરિતી પ્રમાણે હુલ્લડ શરૂ કર્યા હતા, ત્યારે તેમણે એવો પાઠ ભણાવ્યો કે આજ દિન સુધી ખો ભૂલી ગયા છે.
વડાપ્રધાન મોદી અને અમિત શાહના ભાષણમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટા ભાગે એક સમાનતા જ જોવા મળે છે. મતદારો પણ હવે ભાજપના નેતાઓના ભાષણની એકની એક વાત સાંભળીને કંટાળી ગયા છે. મતદારોને એવુ લાગે છે કે ભાજપના નેતાઓ માત્ર કોંગ્રેસને ગાળો બોલવા માટે જ આવે છે. પીએમ મોદી અને અમિત શાહના ભાષણમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઇને પણ પ્રહાર કરવામાં આવે છે. આ રેલીમાં લોકોને નવુ કઇ સાંભળવા મળતુ નથી, જેને કારણે કેટલીક જગ્યાએ ખુરશીઓ પણ ખાલી જોવા મળે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે જોઇએ તેવો માહોલ જામતો જોવા મળતો નથી, તેનું લેટેસ્ટ ઉદાહરણ આપણને પ્રથમ તબક્કાના મતદાનમાં જોવા મળ્યુ હતુ. પ્રથમ તબક્કામાં ગત વર્ષ કરતા 8 ટકા જેટલુ ઓછુ મતદાન થયુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ, 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે કરવી પડે છે મહેનત
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
ગુજરાતમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે. બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement