- 2 હેકટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયા વળતર આપવાનું નક્કી પણ થયું હતું, 2 સર્વે થયા બાદ ફોર્મ પણ ભરાયા હતા છતાં અમને નુકશાનીનું વળતર હજુ સુધી મળ્યું નથી: જસપાલસિંહ ગોહિલ, ખેડુત
- આખા નર્મદા જિલ્લામાં ભાજપના એક નેતાના વિસ્તારના જ 18 ગામોને સહાય આપવાનુ નક્કી થયું છે:જસપાલસિંહ ગોહિલનો આક્ષેપ
વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાત વિધાનસભા ચૂંટણી પેહલા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખેડૂતોને પાક નુકશાની વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો કરી ભરોશાની ભાજપ સરકારને જાકારો આપવાની ચીમકી ઉચ્ચારતા ભાજપ સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. નાંદોદ તાલુકાનાં ખેડૂતોએ પાક નુકશાનીના યોગ્ય વળતર મુદ્દે ભાજપ સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.
Advertisement
Advertisement
આ બાબતે નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના ખેડૂત જસપાલસિંહ ગોહિલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે કેળના પાકને મોટુ નુકશાન ગયું હતું. 2 હેકટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 30 હજાર રૂપિયા વળતર આપવાનું નક્કી પણ થયું હતું, 2 સર્વે થયા બાદ ફોર્મ પણ ભરાયા હતા છતાં અમને નુકશાનીનું વળતર હજુ સુધી મળ્યું નથી. ગયા મહિને ફોર્મ ભરાયા બાદ યોગ્ય વળતર મળશે એવી બાહેધરી પણ આપવામાં આવી, પણ ગત રોજ એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા. અધિકારીઓએ કારણ બતાવ્યું કે જરૂરિયાત કરતા વધારે અરજી આવી ગઇ છે અને ગ્રાન્ટ ઓછી છે.
જસપાલસિંહ ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આખા જિલ્લામાં ભાજપના એક નેતાના વિસ્તારના જ 18 ગામોને સહાય આપવાનુ નક્કી થયું છે. અને અમને 30 હજાર રૂપિયાની જગ્યાએ 6 હજાર રૂપિયા જ સહાય આપવાનુ જણાવાયું છે. યોગ્ય સમયે વળતર ન મળતા ખેડૂતો માથે હાથ મૂકી રડી રહ્યા છે. અમને એવું કેહવામાં આવે છે કે કેળની નુકશાનીનું વધુ વળતર ચૂકવવું પડે છે એટલે તમે કેળાની જગ્યાએ કપાસનું નુકશાન બતાવો તો તમને પ્રતિ હેકટર 6 હજાર રૂપિયા વળતર મળશે.
અમે કેળાની ખેતી કરતા હોઈએ તો કપાસનું નુકશાન કેવી રીતે બતાવીએ. 6 હજાર વળતર સામે અમને કેળાની ખેતી પાછળ 6 હજાર તો ખર્ચ થઈ જાય છે. જો અમને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભરોસાની ભાજપ સરકારને જાકારો આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
Advertisement