વડોદરા: ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકા પાલતુ કૂતરાઓનો (Pet Dog Tax) પણ વેરો ઉઘરાવશે. કૂતરા પાળતા લોકોએ 5 ટકા વેરો ભરવો પડશે. અંદાજે 30 હજાર પાલતુ કૂતરામાંથી 1 કરોડનો વેરાની આવક વડોદરા કોર્પોરેશનને થઇ શકે છે. શહેરમાં વિવિધ ક્લબમાં 25 હજાર કૂતરા નોંધાયેલા છે.
Advertisement
Advertisement
ત્રણ દાયકા કરતા વધુ સમયથી વડોદરા પાલિકાના બજેટના કાગળિયાઓ પર નામ માત્ર હાજરી ધરાવતા કૂતરા વેરો ઉઘરાવવા માટેનું સૂચન મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં કર્યુ છે. શહેરમાં પાલતુ શ્વાન કેટલા છે તેના પાલિકા પાસે સત્તાવાર આંકડા નથી પણ શ્વાનવેરા પેટે વર્ષે 1 કરોડ રૂપિયા જેટલી રકમ વડોદરાવાસીઓ પાસેથી લેવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સ્થાયી સમિતિમાં ચર્ચા અનુસાર દર ત્રણ વર્ષે 1000નો વેરો લેવો, આ વેરાની ગણતરી ક્યારથી થશે તેની હાલમાં સ્પષ્ટતા નથી પણ પહેલા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા શહેરીજનોને પાલતુ પ્રાણીના રજિસ્ટ્રેશન માટે કહેવામાં આવે તેવી શક્યતા છે.
વડોદરામાં યુનાઇટેડ કેનલ ક્લબ અને કેસીઆઇ ક્લબમાં 25 હજાર જેટલા શ્વાન નોંધાયેલા છે. ક્લબ સાથે સંકળાયેલા લોકો અનુસાર આ સિવાય પણ મિક્સ બ્રિડના 25 હજાર બીજા શ્વાન પણ હોવાનું પ્રાથમિક અનુમાન છે.
વડોદરા મહાનગરપાલિકાને 1 કરોડની આવક થઇ શકે
મહેસૂલ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે કહ્યુ કે, હાલમાં પ્રાથમિક અંદાજ મુજબ શહેરના 6.5 લાખ ઘરમાંથી 5 ટકા લોકો કૂતરા રાખે છે. વડોદરામાં 30 હજાર કૂતરા હોઇ શકે. એક હજાર રૂપિયાના હિસાબે 1 કરોડની આવક પહેલા વર્ષે થઇ શકે છે. પાલિકાને દરેક પાલતુ શ્વાનને ઓળખ માટે માઇક્રોચીપ લગાવવી પડશે. હાલમાં ખાનગી ક્લબો રૂપિયા 450થી 500નો ચાર્જ માઇક્રોચીપ ફિટ કરવાનો વસૂલે છે.
ખસીકરણમાં નિષ્ફળ પાલિકાને વેરામાં રસ
વડોદરામાં દરરોજ 25 લોકોને રખડતા કૂતરા બચકા ભરીને લોહીલુહાણ કરે છે. કરોડોનો ખર્ચ ખસીકરણમાં થયો છે જેમાં પાલિકા નિષ્ફળ રહી છે પણ શ્વાન વેરા જેવા કર નાંખવામાં વડોદરા મહાનગરપાલિકાને રસ પડ્યો છે.
અમદાવાદ-સુરત અને રાજકોટમાં કૂતરા ટેક્સ નથી
અમદાવાદ જીપીએમસી એક્ટમાં પાલતુ પ્રાણીનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે પણ એકેય પ્રાણીનું રજિસ્ટ્રેશન નથી.
સુરતમાં પાલતુ પ્રાણીઓની સંખ્યા 2 લાખ જેટલી છે પણ પાલતુ પ્રાણી પર વેરો વસૂલાતો નથી, નોંધણી પણ નથી થતી.
રાજકોટમાં પાલતુ શ્વાનની સંખ્યા 16 હજારની આસપાસ હોવાનો અંદાજ છે. પાલિકા પાલતુ પ્રાણીનો વેરો વસૂલતી નથી.
Advertisement