નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) યોજના હેઠળ સશસ્ત્ર દળોના ફેમિલી પેન્શનરો અને વીરતા પુરસ્કાર વિજેતાઓને 30 એપ્રિલ સુધીમાં બાકી રકમ ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે. તે જ રીતે, 70 વર્ષથી વધુ ઉંમરના પાત્ર પેન્શનરોને આગામી 30 જૂન સુધીમાં એરિયર્સ ચૂકવી દેવા માટે પણ સૂચના આપી છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આંચકો આપતાં ચાર હપ્તામાં એરિયર્સ ચૂકવવાની માંગને ફગાવી દઈને પેન્શનરોને ત્રણ હપ્તામાં એરિયર્સની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
અગાઉ OROPની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવાની રજૂઆત હતી
કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે 10 લાખથી વધુ પેન્શનધારકોના એરિયર્સની રકમ આ વર્ષે 31 ઓગસ્ટ, 30 નવેમ્બર અને આવતા વર્ષે 28 ફેબ્રુઆરી સુધીમાં ચૂકવી દેવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેનાથી ભૂતપૂર્વ કર્મચારીઓના પેન્શનની સમાનતા પર કોઈ અસર નહીં થાય. અગાઉ 13 માર્ચે સંરક્ષણ મંત્રાલયની 20 જાન્યુઆરીની રજૂઆતની નોંધ લેતા કોર્ટે પેન્શનરોને ચાર અર્ધવાર્ષિક હપ્તા એટલે કે બે વર્ષમાં એરિયર્સ ચૂકવવાની અરજીનો સ્વીકાર કર્યો ન હતો. પેન્શનરોની ચૂકવણી માટેનું બજેટ રૂ.5 લાખ કરોડ છે અને ફેબ્રુઆરી મહિના સુધી રૂ.1.2 લાખ કરોડ ચૂકવવામાં આવ્યા છે.
સીલબંધ કવરમાં જવાબ આપવા બદલ CJIએ વાંધો ઉઠાવ્યો
પૂર્વ સૈનિકોની અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે OROP યોજના કેસની સુનાવણી દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા સીલબંધ કવરમાં જવાબ આપવામાં આવતા તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે સીલબંધ કવરમાં જવાબ આપવાની પ્રેક્ટિસને અટકાવવાની જરૂર છે કારણ કે તે મૂળ સ્વરૂપે નિષ્પક્ષ ન્યાયની મૂળભૂત પ્રક્રિયાથી વિપરીત છે. CJIએ કહ્યું કે તેઓ વ્યક્તિગત રીતે તેનો વિરોધ કરે છે. કોર્ટમાં પારદર્શિતા હોવી જોઈએ. સીજેઆઈએ એમ પણ કહ્યું હતું કે અહીં તેમણે પોતે જ આદેશ આપવાનો છે.
Advertisement