યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે હવે દરેક યુનિવર્સિટીએ અંગ્રેજી માધ્યમના કોર્સમાં પણ વિદ્યાર્થીને ગુજરાતી કે પોતાની માતૃભાષામાં જવાબો લખવાની છૂટ આપવી પડશે. યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને આ બાબતે ગાઈડલાઈન જાહેર કરી છે.
સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપીને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડીને કેન્દ્ર સરકાર 2035 સુધીમાં એનરોલમેન્ટ રેશિયો વધારીને 50 ટકા સુધી લઈ જવા માંગે છે. હાલ ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો માત્ર 27 ટકા જ છે અને હવે કેન્દ્ર સરકાર વધારવા માંગે છે.
યુજીસીના ચેરમેન પ્રો.એમ. જગાદેશ કુમારે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર કરીને જણાવ્યું છે કે હાલ દેશમાં શૈક્ષણિક માળખા અને પદ્ધતિ મુજબ સામાન્ય પણે અંગ્રેજી માધ્યમ જ કેન્દ્ર સ્થાને છે. પરંતુ જો ટીચિંગ, લર્નિંગ અને એક્ઝામ મૂલ્યાંકન સ્થાનિક ભાષામાં થશે તો વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાશે. જેથી વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય તો પણ યુનિવર્સિટી અંગ્રેજી માધ્યમના જ કોર્સ ઓફર કરતી હોય તો પણ વિદ્યાર્થીને પોતાની માતૃભાષામાં પરીક્ષા આપવા દેવાની ઉત્તરવહીમાં જવાબો લખવાની છૂટ આપવામાં આવે.
ઉપરાંત મૂળ લખાણના સ્થાનિક ભાષામાં થયેલા અનુવાદને પ્રોત્સાહન આપવામાં આવે અને યુનિવર્સિચીઓમાં ટીચિંગ અને લર્નિંગની પ્રક્રિયામાં સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલોથી માંડી કોલેજો-યુનિવર્સિટીઓમાં અને મેડિકલ-એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ ટેકનિકલ કોર્સમાં પણ માતૃભાષાને મહત્વ આપી રહી છે ત્યારે યુજીસીએ તમામ યુનિવર્સિટીઓને સ્થાનિક ભાષાને પ્રોત્સાહન માટે અપીલ કરી છે.
Advertisement