નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં ચાર વેદમાંથી એક ‘સામવેદ’ના ઉર્દૂ અનુવાદનું લોકાર્પણ કર્યું હતું. કોઈપણવેદનો આ પ્રથમ ઉર્દૂ અનુવાદ છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુરાનીએ આ અંગે નવી દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે ભગવાનની પૂજા કરવાની લોકોની રીત અલગ-અલગ હોઈ શકે છે પરંતુ, સૌનો ઈરાદો તો એક જ છે. આપણે એ સમજવું જોઈએ કે ધર્મ અલગ-અલગ રસ્તા છે જેનું લોકો એક જ લક્ષ્ય સુધી પહોંચવા માટે પાલન કરે છે.
Advertisement
Advertisement
પૂજા કરવા લોકો અલગ-અલગ રીત અપનાવે છે
ભાગવતે કહ્યું કે કેટલાંક લોકો પૃથ્વીની પૂજા કરે છે, કેટલાંક જળની અને કેટલાંક અગ્નિની પૂજા કરે છે. પરંતુ, બધાં ધર્મ એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે. તે સમુદાયો વચ્ચે દુશ્મની અથવા સંઘર્ષનું કારણ બનવું જોઈએ નહીં. આરએસએસ પ્રમુખે નવી દિલ્હીમાં પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા ઈકબાલ દુરાની દ્વારા હિંદુ ધર્મના ચાર વેદ અથવા ધર્મગ્રંથોમાંથી એક સામવેદના પ્રથમ ઉર્દૂ ભાષાંતરના વિમોચન પ્રસંગે આ ટિપ્પણી કરી હતી.
આ કાર્યક્રમનું આયોજન પાટનગર નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લામાં કરાયું હતું. તે દરમિયાન ભાગવતે કહ્યું કે લોકો ભલે અલગ-અલગ દિશાએથી પહાડ ચડતા હોય, પરંતુ તેમને એક જ ટોચ પર પહોંચવાનું હોય છે. હાલના સમયમાં દુનિયા હિંસાથી ભરપૂર છે. ભગવાનની પૂજા કરવાની રીત અલગ-અલગ હોઈ શકે પરંતુ, પ્રેરણા અથવા ઉદ્દેશ એક જ હોય છે. પૂજાના વિવિધ સાધનો કે માધ્યમો અંગે આપણે ઝગડો કરવો જોઈએ નહીં.
સામવેદનું ઉર્દૂમાં ભાષાંતર
હકીકતે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ઈકબાલ દુરાનીએ આ સામવેદનું ઉર્દૂમાં ભાષાંતર કર્યું છે. તેમનું માનવું છે કે આ પુસ્તક સ્નેહનું ઉદાહરણ છે. તે સૌ કોઈએ વાંચવુ જોઈએ. દુરાનીએ કહ્યું કે મોગલ બાદશાહ શાહજહાંના પુત્ર દ્વારા શિકોહે ઉપનિષદોનું ઉર્દૂમાં ભાષાંતર કરાવવાનું કામ શરુ કર્યું હતું, પરંતુ તેમના પ્રયાસો સફળ થાય તે પહેલા જ તેમના ભાઈ ઔરંગઝેબે તેમની હત્યા કરાવી દીધી હતી. તેના કારણે 400 વર્ષ સુધી આ દિશામાં કાર્ય બંધ રહ્યું હતું. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેખરેખ હેઠળ હિંદુ ધર્મગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર કરવાનો એક નવો પ્રયાસ હાથ ધરાયો છે.
Advertisement