કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ કરવામાં આવી છે. લોકસભા સચિવાલયે આ સંબંધમાં શુક્રવારે એક પત્ર જાહેર કર્યો છે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે તેમને બે વર્ષની સજા સંભળાવી હતી.
Advertisement
Advertisement
તે વાયનાડથી લોકસભા સભ્ય હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં વાયનાડથી કોંગ્રેસની ટિકિટ પર તેમણે ભારતીય ઈતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી.
આ કેસમાં સુરત કોર્ટે તેમને સજા ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે 2013માં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ જનપ્રતિનિધિ જેમ કે ધારાસભ્ય અથવા સાંસદને બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પ્રતિનિધિ ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરશે તો આ નિયમ લાગુ નહીં થાય.
કર્ણાટકના કોલાર ગામમાં 13 એપ્રિલ 2019ના દિવસે સાંસદ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીસભામાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમના વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસમાં સુનાવણીઓ થઈ અને આજે સુરતની અદાલતે માનહાનિ કેસમાં ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની અદાલતે આજે ચુકાદો આપતાં માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા. કલમ 499 અને 500 મુજબ તેમને બે વર્ષની સજા સંભળાવાઈ હતી અને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીના વકીલે રાહુલ વતી આ કેસમાં જામીન માગતાં અદાલતે એ મંજૂર કર્યા હતા. રાહુલ ગાંધી સુરત કોર્ટમાંથી નીકળીને સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
Advertisement