ગુજરાત એક્સક્લૂઝિવ : ચિત્તા 70 વર્ષ બાદ દેશમાં પરત ફર્યા છે. નામીબિયામાંથી આઠ ચિત્તા – જેમાંથી પાંચ માદા અને ત્રણ નર છે – ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. તેમાંથી 17 સપ્ટેમ્બર શનિવારના રોજ પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. ચાલો જાણીએ કે કેન્દ્ર સરકારનો ‘પ્રોજેક્ટ ચિત્તા’ શું છે જેના હેઠળ આ 8 આફ્રિકન ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા છે અને ચિત્તાઓને ભારતમાં લાવવાના સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ કેટલો છે?
Advertisement
Advertisement
પ્રોજેક્ટ ચિત્તા શું છે?
ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાના પાયલોટ પ્રોગ્રામ તરીકે, ‘પ્રોજેક્ટ ચિત્તા’ ને જાન્યુઆરી 2020 માં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે, ભારતીય સંરક્ષણવાદીઓ અને ચિત્તા સંરક્ષણ ફંડ (CCF) દ્વારા ચિત્તાને પાછું લાવવાનો ખ્યાલ સૌપ્રથમવાર 2009માં આગળ મૂકવામાં આવ્યો હતો. CCFએ એક બિન-લાભકારી સંસ્થા/એનજીઓ છે જેનું મુખ્ય મથક નામિબિયામાં છે, અને તે મોટી બિલાડીઓ (સિંહ, વાઘ, ચિત્તો, દિપડો, સ્નો લેપર્ડ, જેગુઆર) ના બચાવ અને પુનર્વસન માટે કામ કરે છે.
જુલાઈ 2020 માં સુપ્રીમ કોર્ટની સંમતિ બાદ ભારત અને નામિબિયાએ એક સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કર્યા, જેમાં નામિબિયાની સરકાર ‘પ્રોજેક્ટ ચિત્તા’ શરૂ કરવા માટે આઠ ચિત્તાઓ ભારત મોકલવા માટે સંમત થઈ હતી. આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ આફ્રિકાના જંગલી ચિત્તાનું ભારતમાં અથવા વિશ્વમાં ક્યાંય પુનર્વસન કરવામાં આવ્યું છે.
Project Cheetah: ભારતમાં 8 ચિત્તા લાવવામાં કેટલો ખર્ચ થયો?
નામીબિયાથી ભારત આવવા 8 ચિત્તાઓએ બોઈંગ 747માં 8,000 કિમીની હવાઈ મુસાફરી કરી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે પ્રોજેક્ટ ચિત્તા માટે કુલ 96 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટને ટેકો આપવા માટે ઈન્ડિયન ઓઈલએ વધારાના 50 કરોડ રૂપિયા આપ્યા છે.
ચિતા સંરક્ષણ ફંડ (CCF) મુજબ, કુનો નેશનલ પાર્કમાં જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી છે, સ્ટાફને તાલીમ આપવામાં આવી છે અને મોટા હિંસક પ્રાણીઓને તેમના કાર્યક્ષેત્રમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જોકે કુનો નેશનલ પાર્ક પહેલેથી જ સિંહો અને ચિત્તાઓનું ઘર છે. વન્યજીવ નિષ્ણાતોએ સિંહ અને દીપડા જેવી મોટી બિલાડીઓની હાલની પ્રજાતિઓ સાથે બહારથી લાવવામાં આવેલા ચિત્તાના સહઅસ્તિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Advertisement