પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસો વચ્ચે અહીંની એક હોસ્પિટલ પર બ્લડ પ્લાઝમાને બદલે મોસંબી ફળનો જ્યૂસ સપ્લાય કરવાનો આરોપ છે. હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આ અંગે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
Advertisement
Advertisement
ટ્વિટર પર આને લગતો એક વીડિયો પણ ચાલી રહ્યો છે. આ વીડિયોમાં પ્રયાગરાજના ઝાલવામાં આવેલી ગ્લોબલ હોસ્પિટલની વાત કહેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં દાખલ દર્દીને બ્લડ પ્લાઝમાના બદલે મોસંબી ફળનો જ્યૂસ ચઢાવી દેવામાં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દર્દીનું મૃત્યુ થયું છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
આ મામલે આઈજી પ્રયાગરાજ રાકેશ સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ડેન્ગ્યુના દર્દીઓને નકલી પ્લાઝમા સપ્લાય કરવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં કેટલાક શકમંદોની અટકાયત કરવામાં આવી છે. આઈજીએ કહ્યું કે થોડા દિવસો પહેલા એક નકલી બ્લડ બેંકનો પણ પર્દાફાશ થયો છે. આઈજીએ વધુમાં જણાવ્યું હતું કે પ્લાઝમાને બદલે જે વસ્તુ સપ્લાય કરવામાં આવી છે તે મોસંબી ફળનો જ્યુસ છે કે કેમ તે અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં.
આ મામલે યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સીએમઓની સાથે એક ટીમને તપાસ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. રિપોર્ટ મળ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રયાગરાજમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 500ની નજીક પહોંચી ગઈ છે.
Advertisement