ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમેચ નિહાળવા મોટેરા સ્ટેડિયમ ગયા હતા. મેદાનમાં થોડો સમય વીતાવ્યા પછી બન્ને નેતા ત્યાંથી નીકળી ગયા હતા. દરમિયાન, મળતી માહિતી પ્રમાણે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજભવન ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી, ભાજપા પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આશરે દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાને સરકાર અને સંગઠન સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હોવાનું મનાય છે.
Advertisement
Advertisement
સંગઠનમાં ફેરફારની શક્યતા
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સંગઠનમાં ફેરફાર જેવા વિષયો પર ચર્ચા થઈ હોવાની સંભાવના છે. આ ઉપરાંત, કેબિનેટના વિસ્તરણ અંગે પણ ચર્ચા થયાની શક્યતા છે. આ અગાઉ PM મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ નિહાળીને ત્યાંથી સીધા રાજભવન પહોંચી ગયા હતા.
PM મોદી દ્વારા ગુજરાતના વિકાસકાર્યોની સમીક્ષા
આ બેઠક પૂર્ણ થયા બાદ PM મોદીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો યોજાઈ હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવ રાજકુમાર સહિત ગુજરાતના અનેક સિનિયર IAS અધિકારીઓ રાજભવન પહોચ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા કરી હોવાની શક્યતા છે. બેઠકમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના મુદ્દે ચર્ચા થઈ હોવાનું મનાય છે. વધુમાં, ગાંધી આશ્રમના નવીનીકરણના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઇ હોવાની સંભાવના છે. બેઠક પૂર્ણ કરીને PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે.
ગુજરાત બજેટ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને પ્રચંડ બહુમતી મળી છે. તેવામાં પ્રદેશ અધ્યક્ષ અને સીએમ સાથેની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા થઈ હોવાની શક્યતા છે.
Advertisement