ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ISRO)એ ઉત્તરાખંડના બે પહાડી જિલ્લાઓને ભૂસ્ખલનની દ્રષ્ટિએ દેશમાં સૌથી સંવેદનશીલ ગણાવ્યા છે.
ISRO ના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ જેના ઉપર ભૂસ્ખલનનું જોખમ છે તેવા દેશભરના કુલ 147 જિલ્લાઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉત્તરાખંડના બે જિલ્લા રુદ્રપ્રયાગ અને ટિહરી ટોચ પર છે. વર્ષ 2013માં કેદારનાથ પર આવેલી આફતે રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વિનાશ વેર્યો હતો.
Advertisement
Advertisement
NRSCના રિપોર્ટમાં ઉત્તરાખંડના તમામ જિલ્લા સામેલ
NRSCએ ઉત્તરાખંડના તમામ 13 જિલ્લાઓને તેના રિપોર્ટમાં સામેલ કર્યા છે. રુદ્રપ્રયાગ અને ટિહરી ક્રમશઃ પહેલા અને બીજા સ્થાને છે, જ્યારે હરિદ્વાર અને ઉધમસિંહ નગરને આ યાદીમાં ક્રમશઃ 146 અને 147મા સ્થાને રાખવામાં આવ્યા છે.
આ યાદીમાં ચમોલી 19મા સ્થાને, ઉત્તરકાશી 21, પૌડી 23, દહેરાદૂન 29, બાગેશ્વર 50, ચંપાવત 65, નૈનીતાલ 68, અલ્મોડા 81 અને પિથોરાગઢને 86મા સ્થાને છે.
2013માં રુદ્રપ્રયાગમાં સર્જાઈ હતી ભીષણ હોનારત
ઉત્તરાખંડના ચારેય ધામમાં સૌથી પ્રસિદ્ધ કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. વર્ષ 2013માં ત્યાં ભીષણ હોનારત સર્જાઈ હતી. તેમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.
રુદ્રપ્રયાગનો સિરોબગડ અને નારકોટા ક્ષેત્ર ભૂસ્ખલનને લીધે સૌથી વધુ અસરગ્રસ્ત છે. ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે. ઉત્તરાખંડમાં વરસાદની સિઝનમાં ભૂસ્ખલનની ઘટનાઓ ખૂબ વધી જાય છે અને કુદરતી આપત્તિઓની દ્રષ્ટિએ આ પહાડી પ્રદેશ અતિસંવેદનશીલ છે.
ચમોલીના જોશીમઠમાં જમીન ધસી રહી છે
છેલ્લાં થોડાં દિવસોમાં ચમોલીમાં લગભગ 6000 ફૂટની ઉંચાઈ પર આવેલા જોશીમઠમાં જમીન ધસી પડવાની ઘટના બની. તેને લીધે લગભગ 600 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. ઉત્તરાખંડ સરકારે તેને લીધે અસરગ્રસ્ત 600 પરિવારોને બીજી જગ્યાએ ખસેડવાના આદેશ આપ્યા છે અને અસરગ્રસ્તોનું અન્યત્ર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
ભૂવૈજ્ઞાનિકોએ તેને કુદરતી કરતાં વધારે તો માનવસર્જીત આફત ગણાવી છે. તેમનું કહેવું છે કે વર્ષોથી જોશીમઠમાં આડેધડ થઈ રહેલા નિર્માણકાર્યોને લીધે ત્યાંની જમીન ધસી રહી છે.
પ્રથમ વખત મોટા પાયે થયો અભ્યાસ
NRSCએ જણાવ્યું કે વૈજ્ઞાનિકોએ17 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના 147 જિલ્લાઓમાં વર્ષ 1998થી 2022 દરમિયાન નોંધવામાં આવેલા 80,000 ભૂસ્ખલનના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. આવું આ પ્રથમ વખત બન્યું છે.
વર્ષ 2000 અને 2017 વચ્ચે મિઝોરમમાં સૌથી વધુ 12,385, ઉત્તરાખંડમાં 11,219, જમ્મૂ-કાશ્મીરમાં 7,280 અને હિમાચલ પ્રદેશમાં 1,561 ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં કેરળમાં ભૂસ્ખલનની સૌથી વધુ 6,039 ઘટના નોંધાઈ છે.
NRSCએ ઉપગ્રહના ડેટાનો કર્યો અભ્યાસ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રિપોર્ટ તૈયાર કરવા માટે ઉપગ્રહના ડેટાનો અભ્યાસ કર્યો છે. તેના દ્વારા પહાડી ઢોળાવોમાં વિસ્થાપન વિશે પણ જાણી શકાય છે. તેમાં 2011માં સિક્કિમમાં આવેલો ભૂકંપ અને 2013ની કેદારનાથ હોનારત જેવી તમામ કુદરતી હોનારતો બાદ થયેલા મોટા ફેરફારોનો પણ અભ્યાસ કરાયો છે.
આ રિપોર્ટ પ્રમાણે ઉત્તરાખંડ ઉપરાંત સૌથી વધુ ભૂસ્ખલનવાળા જિલ્લાઓમાં કેરળના ચાર , જમ્મૂ-કાશ્મીરના બે અને સિક્કિમના બે જિલ્લાઓનો સમાવેશ થાય છે.
Advertisement