પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન ફરી એક વખત ધરપકડથી બચી ગયા છે. ઈસ્લામાબાદ પોલીસની ઘણી ટીમો ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે મંગળવારે લાહોર સ્થિત ઝમન પાર્ક ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચી હતી. પરંતુ, ત્યાં પોલીસ અને ઈમરાનના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી.આ અથડામણમાં પાંચ પોલીસકર્મીઓ તથા સંખ્યાબંધ દેખાવકારો ઘયલ થયા હતા. ઈમરાને લોકોને પોતાનું સમર્થન આપતા રહેવાની અપીલ કરી હતી.
Advertisement
Advertisement
‘લંડન પ્લાન’ હેઠળ મારા વિરુદ્ધ ષડયંત્રઃ ઈમરાન
ઈમરાન ખાને આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાનસરકાર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. તેમણે ક્હયું કે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ઈશારે ‘લંડન પ્લાન’ હેઠળ તેમની ધરપકડ કરવાની અને તેમના પક્ષને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઈમરાને કહ્યું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી અને બધું જ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે સુરક્ષાના કારણોસર તેઓ ઈસ્લામાબાદ હાઈકોર્ટસમક્ષ રજૂ થયા ન હતા.
પોલીસનો ઈરાદો મારી હત્યા કરવાનો હતોઃ ઈમરાન
ઈમરાન ખાને બુધવારે સવારે ટ્વિટર પર કારતૂસોના ફોટોઅને વીડિયો રજૂ કરીને તેમની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
તેમણે લખ્યું, ધરપકડ કરવાનો દાવો માત્ર નાટક હતું કારણ કે હકીકતમાં તો ઈરાદો અપહરણ અને હત્યા કરવાનો હતો.પોલીસે ટીયરગેસ અને પાણીના મારા સાથે સાથે ગોળીબાર પણ કર્યો હતો. સાંજે મેં એક સોગંદનામા પર હસ્તાક્ષરો કર્યા હતા, પરંતુ DIGએ તે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો…તેમના દુર્ભાવનાપૂર્ણ ઈરાદા વિશે કોઈ શંકા નથી.
ઈમરાન 18 માર્ચે હાઈકોર્ટ સમક્ષ હાજર થશે
પોલીસ અને પાર્ટી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ પછી ઈમરાને કહ્યું કે તે તોશાખાના કેસમાં 18 માર્ચે લાહોર હાઈકોર્ટ સમક્ષ હાજર થશે. આ અગાઉ તેમણે કહ્યું હતું કે તે ધરપકડ માટે માનસિક રીતે તૈયાર છે. તેમણે કહ્યું, બહાર મોટી સંખ્યામાં પોલીસ છે. પોલીસની સાથે સેનાના રેન્જર્સ પણ હાજર છે. જાણે પાકિસ્તાનનો સૌથી મોટો આતંકવાદી અંદર છૂપાયેલો હોય એવું લાગે છે.
શું છે તોશાખાના કેસ ?
તોશાખાના પાકિસ્તાની સરકારનો એક વિભાગ છે જે કેબિનેટ વિભાગ હેઠળ આવે છે. તેની રચના 1974માં કરવામાં આવી હતી. તેમાં પાકિસ્તાની અધિકારીઓને (માત્ર દેશના પ્રમુખ અને પ્રધાનમંત્રી) ને મળેલી અતિકિંમતી ભેટસોગાદો રાખવામાં આવે છે. કોઈ ભેટની કિંમત રૂ.30,000થી ઓછી હોય તો તે પ્રમુખ અથવા પ્રધાનમંત્રી તેમની પાસે રાખી શકે છે. જોકે, તેથી વધુ કિંમતની મોંઘી ભેટો કાયદા પ્રમાણે તોશાખાનામાં જ જમા કરાવવી પડે છે. ઈમરાન ખાન પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે અતિ મોંઘી ભેટસોગાદો પણ તેમની પાસે જ રાખી હતી. તે તેમણે તોશાખાના વિભાગમાં જમા કરાવી ન હતી અને તેના વિશે ખુલાસો કરવાનો પણ ઈનકાર કર્યો હતો.
Advertisement