વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત વિધાનસભા 2022 માટે 148 નાંદોદ બેઠક માટે ડો.દર્શનાબેન દેશમુખના નામની જાહેરાત થઈ છે.ડો.દર્શનાબેન દેશમુખને ટીકીટ આપતા આ બેઠકના બીજા દાવેદાર ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતી મોર્ચાના અધ્યક્ષ હર્ષદ વસાવાના સમર્થકોમાં ભારે નારાજગી છવાઈ છે.મોટી સંખ્યામાં સમર્થકો એમના નિવાસસ્થાને એકત્ર થઈ અપક્ષ ઉમેદવારી કરવા હર્ષદ વસાવા પર દબાણ કર્યું હતું.
Advertisement
Advertisement
ગુજરાત પ્રદેશ ભાજપ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવાના સમર્થનમાં નાંદોદ વિધાનસભાના ભાજપ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ કરી હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કર્યો હતો.નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી હર્ષદ વસાવા જ એક એવા નેતા છે જે સતત 2 ટર્મ વિધાનસભા ચૂંટણી જીત્યા છે, ભાજપ ઉમેદવાર નહિ બદલે તો હર્ષદ હર્ષદ વસાવાને ભાજપના તમામ હોદ્દો પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરવા દબાણ કરીશું.આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે.હર્ષદ વસાવા જીતશે તો ભાજપને જ સમર્થન કરશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે હર્ષદ વસાવાને ટીકીટ ન મળતા તેઓ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી પોતાના સમર્થકોની હાજરીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.સાથે સાથે એમના સમર્થનમાં ભાજપના કાર્યકરો રાજીનામાં આપશે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.મળતી માહિતી મુજબ નાંદોદ બેઠક માટે ભાજપના અન્ય એક મહિલા દાવેદાર ભારતીબેન તડવી હર્ષદ વસાવા સાથે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.ભારતીબેન તડવીએ જણાવ્યું હતું કે મારું આખું સાસરી પક્ષ કોંગ્રેસમાં છે તે છતાં મે એમની વિરૂદ્ધ જઈ ભાજપ માટે કામ કર્યું, મે મારા પરિવારને પણ સમય નથી આપ્યો.
Advertisement