દિલ્હી પોલીસે રવિવારે જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનના આયોજકો અને તેમના સમર્થકો સામે હુલ્લડો કરવા અને સરકારી કર્મચારીઓના કામમાં અવરોધ ઉભો કરવા બદલ FIR નોંધી છે. જે લોકો પર FIR દાખલ કરવામાં આવી છે તેમાં બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટનો પણ સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આ FIR ઈન્ડિયન પીનલ કોડની કલમ 147, 149, 186, 188, 332, 353 અને PDPP એક્ટની કલમ 3 હેઠળ નોંધવામાં આવી છે.
આ અગાઉ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ રવિવારે સુરક્ષા કોર્ડન તોડીને મહિલા ‘મહાપંચાયત’ માટે નવા સંસદ ભવન તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન માટે અટકાયત હેઠળ લીધા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ દિલ્હી પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે જંતર-મંતર ખાતે 109 દેખાવકારો સહિત સમગ્ર દિલ્હીમાં 700 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
કુસ્તીબાજોને બસોમાં અલગ-અલગ સ્થળોએ લઈ જવામાં આવ્યા બાદ તરત જ પોલીસ કર્મચારીઓએ જંતર-મંતર ખાતે ધરણાંની જગ્યાની સફાઈ શરૂ કરી હતી અને કુસ્તીબાજોના ખાટલા, ગાદલા, કુલર, પંખા અને તાડપત્રી દૂર કરી દીધાં હતા.
એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે અટકાયત કરાયેલી તમામ મહિલા કુસ્તીબાજોને મુક્ત કરવામાં આવી છે અને પુરૂષ કુસ્તીબાજોને પણ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે.
દેશના ટોચના કુસ્તીબાજોએ 23મી એપ્રિલે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણી સાથે તેમનું આંદોલન ફરી શરૂ કર્યું હતું. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement