મણિપુરમાં 3 મે પછી શરૂ થયેલી હિંસા હજુ પણ ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સતત ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે. હવે ફરી બે જગ્યાએ ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Advertisement
Advertisement
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ ઘટના મંગળવારે સાંજે બની હતી. ખોઇજુમતાંબી વિસ્તારમાં બે સમુદાયો વચ્ચે 7 થી 8 વાગ્યા દરમિયાન ગોળીબાર થયો હતો. જ્યારે બીજી ઘટના બુધવાર સવારની છે. તેમાં ફલાંગની પૂર્વમાં રીજ લાઇનમાં લગભગ 4 વાગ્યે ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મુખ્યમંત્રી બિરેન સિંહ પોતે મૈતેઈ સમુદાયના છે અને કુકી સમુદાય સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા તેમના પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજધાની ઇમ્ફાલ સહિત અનેક જિલ્લાઓમાં હિંસા ચાલુ છે અને મુખ્યમંત્રી બિરેન સિંહ પરિસ્થિતિને સંભાળી ન શકવાને કારણે વિપક્ષના નિશાન પર છે.
ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની મૈતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરાયું તે પછી અથડામણો શરૂ થઈ હતી. ઉગ્રવાદીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્રના ઘણાં મંત્રીઓના ઘરોને પણ આગ લગાવી દીધી છે. પરિસ્થિતિને સંભાળવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.
સીએમના રાજીનામાની કોંગ્રેસ અધ્યક્ષની માંગ
આ અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસના પ્રવાસે મણિપુર પહોંચ્યા હતા, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ગૃહ પ્રધાન (અમિત શાહ) એ છેવટે મણિપુરની સ્થિતિ પર વડા પ્રધાન મોદી સાથે વાત કરી હોવાના અહેવાલ છે. છેલ્લાં 55 દિવસથી મોદીજી મણિપુર વિશે એક પણ શબ્દ બોલ્યા નથી. મોદીજી ખરેખર મણિપુર વિશે કંઈક વિચારતા હોય તો પહેલા તમારા મુખ્યમંત્રીને હટાવો. ઉગ્રવાદી સંગઠનો અને અસામાજિક તત્વો પાસેથી હથિયારો જપ્ત કરો. તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરો અને એક સામાન્ય રાજકીય ઉકેલ શોધો.
Advertisement