મણિપુરમાં ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શુક્રવારે રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, તોફાનીઓએ ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત કુકી સમાજના ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો બફર ઝોન પાર કરીને મૈતેઇ વિસ્તારોમાં આવ્યા હતા અને મૈતેઇ વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. કેન્દ્રીય દળોએ બિષ્ણુપુર જિલ્લાના કાવાક્ટા વિસ્તારથી બે કિમી આગળ બફર ઝોન બનાવ્યો છે.
Advertisement
Advertisement
સુરક્ષા દળોએ સાત ગેરકાયદે બંકરોનો નાશ કર્યો
આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાએ ગોળીબાર બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. બેકાબૂ ભીડનું સુરક્ષા જવાનો સાથે ઘર્ષણ પણ થયું હતું. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદે બંકરોનો નાશ કર્યો હતો. માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં અન્ય IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની 2G અને 7TU બટાલિયનમાંથી શસ્ત્રો અને દારૂગોળો છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને ભગાડ્યા હતા.
રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન
પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે સુરક્ષા દળોએ રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વંશીય હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ, સંયુક્ત સુરક્ષા દળોએ કૌતરુક હિલ વિસ્તારમાં સાત ગેરકાયદેસર બંકરો તોડી પાડ્યા છે. ગઈકાલે બંને જિલ્લામાં કર્ફ્યુમાં અપાયેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી હતી અને બંને જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યુ લાદી દેવાયો હતો. ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા આદેશોમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય જનતાને દવાઓ અને ખાદ્ય ચીજવસ્તુઓ સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની સુવિધા આપવા માટે શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી.
મણિપુર હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દરમિયાન, કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને તે મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
Advertisement