પીઢ ઉદ્યોગપતિ અને હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા એસપી હિન્દુજાનું બુધવારે નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતા. પરિવારના પ્રવક્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસપી હિન્દુજાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ ઘણા સમયથી બીમાર હતા.
ચાર હિન્દુજા ભાઈઓમાં એસપી હિન્દુજા સૌથી મોટા હતા. તેમની પત્ની મધુ હિન્દુજાનું આ વર્ષે ફેબ્રુઆરીમાં નિધન થયું હતું. પરિવારના પ્રવકતા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ગોપીચંદ, પ્રકાશ, અશોક અને સમગ્ર હિન્દુજા પરિવાર આજે અમારા પરિવારના વડા અને હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસપી હિન્દુજાના નિધનની જાહેરાત કરતા ખૂબ જ દુઃખી છીએ. તેઓ પરિવારના માર્ગદર્શક હતા. તેમણે તેમના મેજબાન દેશ યુકે અને તેમના વતન ભારત વચ્ચે મજબૂત સંબંધો બાંધવામાં તેમના ભાઈઓ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ડિમેન્શિયાથી પીડિત હતા.
શ્રીચંદ પી. હિન્દુજાએ એસપી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ હિન્દુજા ગ્રૂપના સ્થાપક પીડી હિન્દુજાના મોટા પુત્ર હતા. તેમનો જન્મ વર્ષ 1935માં કરાચી (પાકિસ્તાન)માં થયો હતો. 1952માં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ 18 વર્ષની ઉંમરે તેમના પિતાના વ્યવસાયમાં જોડાયા હતા. બાદમાં તેમણે બ્રિટીશ નાગરિકત્વ લીધું અને ત્યાં લંડનમાં રહેવાનું શરુ કર્યું. તેમના લગ્ન મધુ હિન્દુજા સાથે થયા હતા, જેનું તાજેતરમાં અવસાન થયું હતું. તેમને બે દીકરી શાનુ અને વીનુ છે. તેમના ત્રણ ભાઈઓ જીપી હિન્દુજા, પ્રકાશ હિન્દુજા અને અશોક હિન્દુજા છે.
જણાવી દઈએ કે દેશમાં ટ્રક બનાવવાના બિઝનેસ સિવાય હિન્દુજા ગ્રૂપ બેંકિંગ, કેમિકલ, પાવર, મિડિયા અને હેલ્થ સેક્ટર સાથે પણ સંકળાયેલું છે. આ જૂથની કંપનીઓમાં ઓટો કંપની અશોક લેલેન્ડ અને ઈન્ડસઈન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર હિન્દુજા પરિવારના ચાર ભાઈઓની કુલ સંપત્તિ લગભગ 14 બિલિયન ડોલર છે.
Advertisement