હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેડાયેલા યુદ્ધે મધ્ય – પૂર્વની કૂટનીતિમાં અચાનક ઉથલપાથલ મચાવી દીધી છે. શનિવારથી શરૂ થયેલા આ યુદ્ધ પર તમામ મુસ્લિમ દેશોએ પ્રતિક્રિયા આપી છે અને આ યુદ્ધ માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે. સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન જેવા તમામ મુસ્લિમ દેશોએ ઈઝરાયલની નિંદા કરી અને કહ્યું કે પેલેસ્ટાઈન માટે એક અલગ રાજ્ય (બે રાષ્ટ્ર ઉકેલ) ની સ્થાપના કરવી જોઈએ. પરંતુ મધ્ય – પૂર્વના બે ઈસ્લામિક દેશોએ અન્ય મુસ્લિમ દેશોથી અલગ વલણ અપનાવ્યું છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી મુસ્લિમ દેશો તરફથી કોઈ પણ પ્રતિક્રિયામાં ઈઝરાયેલ પર હુમલા માટે હમાસને નિશાન બનાવાયું નથી. પરંતુ, UAE અને બહેરીને હમાસની ટીકા કરીને બધાને ચોંકાવી દીધા છે.
UAE અને બહેરીન સહિતના તમામ મુસ્લિમ દેશો એક સમયે ઇઝરાયલને મધ્ય પૂર્વમાં ‘અસ્પૃશ્ય’ તરીકે જોતા હતા અને તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતા ન હતા. પરંતુ અમેરિકાના પ્રયાસોના પરિણામે, સપ્ટેમ્બર 2020 માં યુએઈ અને બહેરીને ઇઝરાયલ સાથે અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. યુએઈ અને બહેરીન ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપનારા પ્રથમ આરબ દેશોમાંથી એક હતા.
રાજદ્વારી સંબંધો સ્થાપ્યાના 3 વર્ષ પછી હવે જ્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે આ બંને દેશોનું વલણ અન્ય આરબ દેશો કરતાં અલગ છે. આ બંને દેશોના સત્તાવાર નિવેદનથી સંકેત મળે છે કે આ વખતે તેઓ હમાસના હુમલાના મામલે ઈઝરાયલના સમર્થનમાં ઉભાં છે.
UAEએ અન્ય મુસ્લિમ દેશોથી અલગ લાઇન અપનાવી
સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈએ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ વિશે જે કહ્યું તે સ્પષ્ટ સંકેત છે કે ઈઝરાયલ પ્રત્યે ઈસ્લામિક દેશોના વલણમાં પરિવર્તન આવ્યું છે. યુએઈના વિદેશ મંત્રાલયે રવિવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે યુદ્ધ માટે હમાસ જવાબદાર છે. પેલેસ્ટિનિયન જૂથ હમાસ દ્વારા ઇઝરાયલના શહેરો પરના હુમલા ખૂબ જ ગંભીર છે અને તેના કારણે ભારે તણાવ ઊભો થયો છે. મંત્રાલયે હિંસાનો અંત લાવવા અને નાગરિકોની સુરક્ષા માટે અનુરોધ કર્યો છે. હમાસે લોકો પર હજારો રોકેટ છોડ્યા અને ભારે ગોળીબાર કર્યો હતો. ઇઝરાયલના નાગરિકોનું તેમના ઘરોમાંથી અપહરણ કરીને તેમને બંધક બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોથી યુએઈ ચિંતિત છે.
બહેરીને પણ નિંદા કરી
UAE ની જેમ, બહેરીને પણ 2020 માં અબ્રાહમ સમજૂતી હેઠળ ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા. બહેરીને પણ હમાસ દ્વારા કરાયેલા અચાનક હુમલાની ટીકા કરી છે. સોમવારે બહેરીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે હમાસના હુમલાને કારણે પરિસ્થિતિ ખતરનાક રીતે તણાવપૂર્ણ બની ગઈ છે. નિવેદનમાં કહેવાયું છે કે બહેરીન ઇઝરાયલી નાગરિકોનું તેમના ઘરોમાંથી અપહરણ કરવા અને તેમને બંધક બનાવવાની ટીકા કરે છે. આ નિવેદનમાં લડાઈને રોકવા માટે તાત્કાલિક પ્રયાસો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisement