તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન તેમના હરીફ કમાલ કેલિદાર્ગુલેને ચૂંટણીમાં પાછળ છોડી દઈને ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, કમાલ કેલિદાર્ગુલેએ આ ચૂંટણીને સૌથી વધુ ગેરરીતિપૂર્ણ ગણાવી છે, પરંતુ તેમણે પરિણામો વિશે શંકા વ્યક્ત કરી નથી.
Advertisement
Advertisement
સત્તાવાર આંકડા અનુસાર, 99.43 ટકા મતોની ગણતરીના અંતે એર્દોગનને 52.1 ટકા વોટ મળ્યા હતા જ્યારે કેલિદાર્ગુલેને 47.9 ટકા વોટ મળ્યા હતા. એર્દોગન સ્થાનિક ધોરણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી તેમના માટે આ ચૂંટણી ખૂબ મુશ્કેલ માનવામાં આવી રહી હતી.
તુર્કીયેમાં ફુગાવો આકાશને આંબી રહ્યો છે અને આ વર્ષે આવેલા વિનાશક ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હજુ સંપૂર્ણપણે સામાન્ય થઈ શક્યું નથી. આ પરિસ્થિતિમાં વિરોધપક્ષોને લાગ્યું કે તેઓ આ ચૂંટણીમાં એર્દોગનને હરાવી શકશે. આ કારણસર તુર્કીયેના છ પક્ષોના ગઠબંધને કમાલ કેલિદાર્ગુલેને તેમના સામાન્ય ઉમેદવાર બનાવ્યા હતા.
તુર્કીયેમાં 14 મેના રોજ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ એક પણ ઉમેદવારને 50 ટકાથી વધુ મત ન મળવાને કારણે બીજા તબક્કાનું મતદાન કરાવવાની ફરજ પડી હતી. ચૂંટણી જીત્યા બાદ પોતાના ભાષણમાં એર્દોગને તમામ વિવાદો છોડીને રાષ્ટ્રીય મૂલ્યો અને સપના માટે એક થવાનું વચન આપ્યું હતું. જોકે, તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા અને કમાલ કેલિદાર્ગુલે પર કોઈપણ પૂરાવા વિના આતંકવાદીઓને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. એર્દોગને કહ્યું કે મોંઘવારી એ તુર્કીયેનો સૌથી મહત્વનો મુદ્દો છે.
પોતાના સમર્થકોને સંબોધતા 69 વર્ષીય એર્દોગને કહ્યું, “આજનો વિજેતા માત્ર તુર્કીયે છે. મને ફરીથી આગામી પાંચ વર્ષ સુધી દેશ ચલાવવાની જવાબદારી સોંપનાર દરેકનો હું આભાર માનું છું.” ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, એર્દોગનના ઘરની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોએ ‘અલ્લાહ-હુ-અકબર’ ના નારા લગાવ્યા હતા.
એક સમર્થકે રોઇટર્સને કહ્યું, “દુનિયાના દરેક દેશમાં સમસ્યાઓ છે. યુરોપિયન દેશોમાં પણ મજબૂત નેતૃત્વ સાથે અમે તુર્કીયેની સમસ્યાઓ પણ હલ કરીશું.”
Advertisement