દેશ અને દુનિયામાં ધાર્મિક પુસ્તકોના સૌથી મોટા કેન્દ્ર ગીતા પ્રેસના ટ્રસ્ટી બૈજનાથ અગ્રવાલનું 90 વર્ષની વયે નિધન થયુ છે. વર્ષ 1950માં તેઓ ગીતા પ્રેસ ટ્રસ્ટ સાથે જોડાયા હતા. ગોરખપુરના સિવિલ લાઈન્સ સ્થિત હરિઓમનગરના નિવાસસ્થાને શુક્રવારે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
Advertisement
Advertisement
બૈજનાથ અગ્રવાલના નિધન અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. શોકસંદેશમાં તેમણે જણાવ્યું કે છેલ્લાં 40 વર્ષથી ગીતા પ્રેસના ટ્રસ્ટી તરીકે બૈજનાથજીનું જીવન સામાજિક જાગૃતિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત રહ્યું છે. તેમના નિધનથી સમાજને પૂરી ન શકાય તેવી ખોટ પડી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને સમગ્ર ગીતા પ્રેસ પરિવારને આ મોટું દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
વર્ષ 1923માં શરૂ થયેલું ગીતા પ્રેસ સનાતન ધર્મના પુસ્તકોનું સૌથી મોટું પ્રકાશક છે. સ્વતંત્રતા સંગ્રામના સંઘર્ષોનું સાક્ષી રહેલું ગીતા પ્રેસ કોરોના મહામારી દરમિયાન પણ સંપૂર્ણ સમર્પણ સાથે ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતું રહ્યું હતું. વર્ષ 1923માં જયદયાલ ગોયંદકા અને હનુમાન પ્રસાદ પોદારે ગીતા પ્રેસની સ્થાપના કરી હતી. તે દુનિયાના સૌથી મોટા પ્રકાશકોમાંથી એક છે. જેમાં 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં શ્રીમદ ભગવદગીતાની 16.21 કરોડ નકલોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગીતા પ્રેસને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા વર્ષ 2021માં ગાંધી શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું હતું. તે સમયે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ગીતા પ્રેસ વિશ્વનું એક માત્ર એવું પ્રિન્ટિંગ પ્રેસ છે જે માત્ર એક સંસ્થા નહીં પરંતુ એક જીવંત આસ્થા છે. ગાંધી શાંતિ પુરસ્કારમાં 1 કરોડ રૂપિયાની રકમ સાથે એક પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
Advertisement