વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પસંદગીકારોએ રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. 5 ઓક્ટોબરથી ઘરઆંગણે રમનારી આ ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા મોટા નામ છે. જો કે આ ટીમમાં યજુવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ કરાયેલા સંજુ સેમસનને પણ આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.
Advertisement
Advertisement
વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકાના કેન્ડીમાં ભારતીય ટીમની હોટલમાં પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી હતી. 15 સભ્યોની ટીમમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. એશિયા કપની ટીમમાં સામેલ ખેલાડીઓમાંથી જ વર્લ્ડ કપ ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમશે.
જોકે, તિલક વર્મા, સંજુ સેમસન અને પ્રસિદ્ધ ક્રિષ્નાને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરાયા નથી. જ્યારે અનફિટ કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. તેને એશિયા કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં તે રમ્યો નહોતો. અત્યાર સુધી તે ઈજા બાદ એક પણ મેચ રમ્યો નથી. આ સ્થિતિમાં તેણે મેચ માટે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.
સુકાની રોહિત શર્માએ જણાવ્યું હતું, ‘દરેક વર્લ્ડ કપમાં આવું થાય છે, કોઈને કોઈ ખેલાડીને ટીમમાં સ્થાન મળતું નથી. અમારે શ્રેષ્ઠ ટીમ પસંદ કરવાની હોય છે અને આવી સ્થિતિમાં અમારે કોઈકને ટીમની બહાર રાખવા પડે છે. અમને બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમમાં ઊંડાણની જરૂરત હોય છે. અમે થોડાં વર્ષોથી અનુભવ્યું છે કે આપણી ટીમમાં તેનો અભાવ છે.’
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું, ‘અમારી સમક્ષ ખેલાડીઓને ઈજાની સમસ્યા હતી, પરંતુ શ્રેયસ અને રાહુલ યોગ્ય સમયે ફિટ થઈ ગયા. 50 ઓવરમાં તમને ટીમમાં એક ઑફ-સ્પિનર જોઈએ. પરંતુ, આ સૌથી સંતુલિત ટીમ છે. અમે જે બોલરો પસંદ કર્યા છે તે પસંદગીથી ખૂબ ખુશ છે.’
15 સભ્યોની ટીમમાં આઠ ખેલાડીઓને પહેલેથી જ વર્લ્ડ કપમાં રમવાનો અનુભવ છે. જ્યારે, સાત ક્રિકેટરો પ્રથમ વખત આ મોટી ટૂર્નામેન્ટનો ભાગ બનશે. વિરાટ કોહલી ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. તેની પાસે ત્રણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે. બીજી બાજુ, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ વન-ડે ક્રિકેટની આ સૌથી મોટી ઇવેન્ટમાં બે વખત ભાગ લીધો છે.
વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ.
Advertisement