ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વર્ષના પ્રથમ ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે 6 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર તોફાન ટકરાય તેવી શક્યતા છે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. ચક્રવાતી તોફાનની સંભાવના વચ્ચે ઓડિશા સરકાર પણ એલર્ટ મોડમાં છે.
મુખ્યમંત્રી નવીન પટનાયકે સૂચના આપી હતી
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું હતુ. 2 મે, 2019 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા ચક્રવાત ફેનીને યાદ કરતાં પટનાયકે કહ્યું કે ઉનાળા દરમિયાન ચક્રવાતને ટ્રેક કરવું મુશ્કેલ છે.
તેમણે અધિકારીઓને સલાહ આપી કે જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચક્રવાત આશ્રયસ્થાનોમાં સ્થાનાંતરિત કરો અને ચક્રવાત પછી રાહત અને પુનઃસ્થાપન કાર્યો માટે યોજના તૈયાર કરો. પટનાયકે મુખ્ય સચિવ પીકે જેનાને નિયમિતપણે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુને તમામ વિભાગો અને જિલ્લાઓ સાથે સંકલનમાં કામ કરવા જણાવ્યું હતું.
6 મેના રોજ ચક્રવાતની શક્યતા
જો કે, ભુવનેશ્વરમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું કે IMDએ અત્યાર સુધી કોઈ ચક્રવાતની આગાહી કરી નથી. કે 6 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ સર્જાય તેવી શક્યતા છે. જેના કારણે તે જ વિસ્તારમાં ઓછા દબાણનો વિસ્તાર બનશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે.
મુખ્ય સચિવ પી.કે.જેનાએ જણાવ્યું હતું કે જો રાજ્યમાં કોઈ ચક્રવાત આવે તો રાજ્ય ‘શૂન્ય જાનહાનિ’ સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું, “તમામ કલેક્ટરને આ સંદર્ભે એલર્ટ કરવામાં આવ્યા છે. ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર છે અને શાળાની ઇમારતો સહિત સુરક્ષિત સ્થળોની પણ ઓળખ કરવામાં આવી છે.”
NDRF-ODRAF ટીમો તૈયાર
સાહુએ કહ્યું કે તમામ જિલ્લાઓમાં 24×7 કંટ્રોલ રૂમ પહેલેથી જ કાર્યરત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના અને આસપાસના 18 જિલ્લાના કલેક્ટરને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની કુલ 17 ટીમો અને ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF) ની 20 ટીમો તૈયાર રાખવામાં આવી છે.
ગ્રામીણ વિકાસ, આવાસ અને શહેરી વિકાસ, પંચાયતી રાજ અને પીવાના પાણી વિભાગોને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સાહુએ જણાવ્યું હતું કે ઉર્જા વિભાગે મુખ્ય પ્રધાનને કહ્યું હતું કે જો રાજ્યમાં ચક્રવાત આવે તો તે સમારકામ માટે માણસો અને મશીનો સાથે તૈયાર છે. તેમણે કહ્યું કે વન વિભાગને પણ રસ્તાઓની સફાઈ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
Advertisement