હરિયાણાના નૂહ જિલ્લામાં આજે ભગવા યાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, જિલ્લાના નલ્હાડ મહાદેવ મંદિરથી નીકળીને જ્યારે ભગવા યાત્રા ઝંડા પાર્ક પહોંચી ત્યારે અન્ય સમુદાયના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી બન્ને સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હિંસા એટલી ભડકી હતી કે પોલીસકર્મીઓ પણ ઓછાં પડતા જોવા મળ્યા હતા. થોડા સમય બાદ પોલીસની સાથે મોટી સંખ્યામાં સૈન્યનો ફોર્સ પણ તૈનાત કરવામાં આવ્યો હતો. એવી માહિતી છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઇન્ટરનેટ પણ થોડા સમય માટે બંધ કરી દેવાયું છે.
Advertisement
Advertisement
ભગવા યાત્રા દરમિયાન ભારે હિંસા ભડકી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, નસીર અને જુનૈદની હત્યાના આરોપી મોનુ માનેસરે એક વીડિયો જાહેર કર્યો હતો અને મેવાત આવવાની વાત કરી હતી. તેણે આ યાત્રામાં જોડાવાનો પણ દાવો કર્યો હતો. તેના આ વીડિયોથી કેટલાંક લોકો નારાજ હતા. પથ્થરમારા ઉપરાંત ફાયરિંગની પણ માહિતી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થયા છે, જેમાં તોફાનીઓ બસ અને અન્ય વાહનોમાં તોડફોડ કરતા જોવા મળે છે.
હિંસક અથડામણમાં ઘણાં લોકો ઘાયલ
આ હિંસક અથડામણમાં ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. હાલ સ્થિતિ સ્થિર છે, પરંતુ તણાવ યથાવત છે. તમને જણાવી દઈએ કે, ગૌહત્યા સાથે જોડાયેલા ઘણાં મામલાઓને કારણે નૂહમાં ઘણી વખત તણાવની સ્થિતિ ઉભી થાય છે. મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના આ એકમાત્ર જિલ્લામાં અનેક વખત સાંપ્રદાયિક તણાવની સ્થિતિ સર્જાતી રહી છે. તેને રાજ્યનો સૌથી સંવેદનશીલ જિલ્લો પણ કહેવાય છે.
Advertisement