જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના અલશીપોરામાં ગઈ મોડી રાતથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાતભર ચાલેલી અથડામણ બાદ આજે વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગઈરાતથી ચાલતી અથડામણ વચ્ચે સુરક્ષા દળોએ આજે સવારે બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર પોલીસે સોશિયલ મીડિયા એક્સ (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. અથડામણ બાદ જવાનોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
Advertisement
Advertisement
પોલીસના જણાવ્યા પ્રમાણે ઠાર મરાયેલા આતંકવાદીઓની ઓળખ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના મોરીફત મકબૂલ અને જાજીમ ફારુક ઉર્ફે અબરાર તરીકે થઈ છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદી અબરાર કાશ્મીરી પંડિત સંજય શર્માની હત્યામાં સામેલ હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લામાં બે આતંકીઓને ઠાર માર્યા હતા.
અગાઉ કુલગામ જિલ્લામાં પણ બે આતંકી ઠાર
આ અગાઉ ગયા બુધવારે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલા બે આતંકીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના આ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે પુષ્ટિ કરી હતી. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ અને ફૈઝલ સાકિબ અહેમદ લોન તરીકે થઈ હતી. બંને સ્થાનિક હાવુરા વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં કુજ્જરમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીને પગલે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે દિવસના સમયે આ અથડામણ શરૂ થઈ હતી..
દરમિયાન, 4 ઓક્ટોબરે સાંજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વત્રીગામ વનિહામા વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓએ એક વિદ્યાર્થીને ગોળી મારી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીનું ગુરુવારે મૃત્યુ થયું હતું.. વિદ્યાર્થીની ઓળખ વત્રીગામના રહેવાસી સાહિલ બશીર તરીકે થઈ હતી.
Advertisement