ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં છેતરપિંડી સંબંધિત કેસમાં SEBIએ ગુરુવારે ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને તેમની પાસેથી રુ. 5.35 કરોડની માંગણી કરતી નોટિસ મોકલી હતી. આ સાથે સેબીએ 15 દિવસની અંદર પૈસા ચૂકવવામાં નહીં આવે તો ધરપકડ અને સંપત્તિ બેંક ખાતામાં જપ્ત કરવાની ચેતવણી પણ આપી છે.
સેબી દ્વારા લાદવામાં આવેલા દંડ ન ચૂકવવા બદલ રેગ્યુલેટર ચોક્સીને આ નોટિસ મોકલી છે. નીરવ મોદીના મામા ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા અને પ્રમોટર ગ્રૂપનો પણ ભાગ હતા. ચોક્સી અને નીરવ બન્ને પર જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB)ને રુ. 14000 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે.
PNB કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ બન્ને આરોપીઓ 2018ની શુરઆતમાં વિદેશ ભાગી ગયા હતા. જ્યાં ચોક્સી એન્ટીગુઆ અને બરબુડામાં હાજર હોવાનું કહેવાય છે. જ્યારે નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે.
સેબીએ ચોક્સીને નવી નોટિસ મોકલીને 15 દિવસમાં રુ. 5.35 કરોડ ચૂકવવા જણાવ્યું હતું. આ રકમમાં વ્યાજ અને વસૂલાત ખર્ચ બન્નેનો સમાવેશ થાય છે.
બાકી લેણાંની ચૂકવણી ન કરવાના કિસ્સામાં સેબી ચોક્સીની જંગમ અને સ્થાવર મિલકતો જપ્ત કરીને અને હરાજી કરીને બાકી રકમ વસૂલ કરશે. આ ઉપરાંત ચોક્સીના બેંક ખાતાઓ પણ જોડવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે.
Advertisement