મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે આસામ કોર્ટમાં મણિપુર હિંસાના 27 કેસ ગુવાહાટી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. એટલું જ નહીં, ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિશેષ ન્યાયાધીશની નિમણૂક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 કેસોનો નિકાલ લાવવા માટે ગુવાહાટીમાં એક અથવા વધુ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ જજની નિમણૂક કરવા જણાવ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપીઓના ટ્રાયલ અને રિમાન્ડ ઓનલાઈન હશે અને પીડિત તથા સાક્ષીઓ કોર્ટમાં પ્રત્યક્ષ જુબાની આપવાને બદલે ઘરેથી ઓનલાઈન જુબાની આપી શકશે. આ ઉપરાંત, મણિપુરમાં સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ સાક્ષીઓ અને પીડિતોના નિવેદનો પણ નોંધવામાં આવશે.
આ સાથે જ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી પણ મણિપુરમાં આપવામાં આવશે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે મણિપુર રાજ્ય સરકારને પણ પૂરતી ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે. CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાના સૂચનો બાદ આ આદેશ આપ્યો હતો. CBIના 53 અધિકારીઓ હિંસાના 17 કેસોની તપાસ કરી રહ્યા છે. આ તપાસ ટીમમાં 29 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓની ભરતી દેશભરની સીબીઆઈ ઓફિસોમાંથી કરવામાં આવી છે.
Advertisement