સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવી છે. કોર્ટે માનહાનિના કેસમાં ગુજરાત રાજ્યને પણ નોટિસ પાઠવી છે. નોટિસનો જવાબ આપવા માટે પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે તેમને 10 દિવસનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ તબક્કે મર્યાદિત પ્રશ્ન એ છે કે શું માનહાનિના કેસમાં દોષી ઠેરવવાના મામલામાં સજા પર સ્ટે આપવો યોગ્ય છે ? આ કેસની આગામી સુનાવણી હવે 4 ઓગસ્ટે થશે.
Advertisement
Advertisement
રાહુલ ગાંધીએ આ દલીલ કરી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી રાહુલ ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થઈ હતી. રાહુલ ગાંધીએ તેમની અપીલમાં કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના 7 જુલાઈના ચુકાદા પર સ્ટે આપવામાં નહીં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને અસર થશે.
ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ‘મોદી અટક’ ટિપ્પણી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવાની સજા પર મનાઈ ફરમાવવાનો ઇનકાર કરીને સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદબાતલ કરવાની માંગ કરી શકશે નહીં. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટનો દોષી ઠેરવવાનો આદેશ યોગ્ય છે, આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા દસ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. રાહુલ ગાંધીએ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
શું છે સમગ્ર મામલો ?
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાયનાડના ભૂતપૂર્વ લોકસભા સભ્ય રાહુલે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા કર્ણાટકના કોલારમાં એક જાહેર સભામાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જોકે, ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી ન હતી.
Advertisement