નવી દિલ્હીઃ દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ સ્થિતિ એટલી વિકટ છે કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું છે કે આટલા પડતર કેસોનો નિકાલ કરવામાં નહીં આવે તો જનતાનો ન્યાયમાંથી વિશ્વાસ ઘટી શકે છે અને લોકોનો ન્યાય વ્યવસ્થાથી મોહભંગ થઈ શકે છે. કેટલીક અદાલતોમાં તો 50 વર્ષ જૂના કેસ પણ પડતર છે. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને અરવિંદ કુમારની બેન્ચે દરેક રાજ્યના હાઈકોર્ટના ન્યાયાધીશોને પાંચ વર્ષથી જૂના કેસોના ઝડપી નિકાલ માટે 11-પોઈન્ટનો આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
43 વર્ષ જૂના સિવિલ કેસ પર પોતાનો ચુકાદો આપતાં, સુપ્રીમ કોર્ટે પેન્ડિંગ કેસો અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયા કાચબાની ગતિએ આગળ વધશે તો લોકોનો ન્યાયમાંથી વિશ્વાસ ઉઠી જશે અને વાદીઓનો મોહભંગ થઈ શકે છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 65 વર્ષથી વધુ જૂના કેટલાંક કેસ પેન્ડિંગ છે, જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. સુપ્રીમ કોર્ટે આવા તમામ જૂના કેસોના ડેટાને ધ્યાનમાં લીધા બાદ આ ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરવિંદ કુમારે અરજદારને કહ્યું કે જ્યાં પણ શક્ય હોય ત્યાં વકીલો અને ન્યાયાધીશો બંનેએ કેસ સ્થગિત ન થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે દેશભરની અદાલતો, તાલુકા, જિલ્લા સ્તરથી લઈને હાઈકોર્ટ સુધીની અદાલતોને સમન્સ, લેખિત જવાબ અથવા નિવેદન, કેસનો નિર્ણય લેવા સહિતના તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. તેમણે દેશભરમાં હાઈકોર્ટના ન્યાયાધીશોની એક કમિટી બનાવવા અને પાંચ વર્ષથી જૂના કેસોની દેખરેખ રાખવાનો પણ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો ઝડપી ન્યાયની આશા સાથે કોર્ટમાં આવે છે. દરેક ક્ષેત્ર ન્યાય સાથે સંકળાયેલું છે, દેશનો આર્થિક વિકાસ પણ મજબૂત ન્યાય વ્યવસ્થા પર આધાર રાખે છે.
Advertisement