દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મતદાન ન કરવા બદલ બે લોકોની હત્યા કરવાના કેસમાં રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને આજીવન કેદની સજા સંભળાવી છે. આ અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 1995ના ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષી ઠેરવ્યા હતા અને 1 સપ્ટેમ્બરે એટલે કે આજે તેમને સજા સંભળાવવામાં આવનાર હતી. કોર્ટે પ્રભુનાથ સિંહ અને બિહાર સરકારને પીડિતને દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. હાલ પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.
Advertisement
Advertisement
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં નીચલી કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ પટણા હાઈકોર્ટે પણ તેમની મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં પ્રભુનાથ સિંહને દોષી ઠેરવ્યા હતા અને તેમને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર
મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ બાદ કેસને છપરાથી પટણા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. પટણા હાઈકોર્ટે 2012માં નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ત્યારબાદ મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની બેંચે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો અને પ્રભુનાથ સિંહને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે પ્રભુનાથ સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે.
શું છે સમગ્ર મામલો?
બિહારની મહારાજગંજ લોકસભા સીટથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં એક મતદાન મથક પાસે 47 વર્ષીય કોન્સ્ટેબલ રાય અને 18 વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. આરોપ છે કે બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો. તે કારણે બંનેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલામાં નીચલી અદાલત અને પટણા હાઈકોર્ટે તેમની મુક્તિને યથાવત રાખી હતી. પરંતુ, આજે આ મામલે સુપ્રીમ કોર્ટે તેમને આજીવન કેદની સજા ફરમાવી છે.
Advertisement