દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતાં, કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા પર બ્રેક્ઝિટ જેવા જનમતનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, કારણ કે કોર્ટ કલમ 370 બંધારણીય રીતે માન્ય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરી રહી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારત એક બંધારણીય લોકશાહી છે, જ્યાં સ્થાપિત સંસ્થાઓ દ્વારા જ લોકોની ઈચ્છા જાણી શકાય છે.
Advertisement
Advertisement
પાંચ જજોની બેન્ચે આ ટિપ્પણી કરી
સીજેઆઈની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી. સિબ્બલે કહ્યું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ જેવું એક રાજકીય કૃત્ય હતું. બ્રેક્ઝિટમાં જનમત દ્વારા બ્રિટિશ નાગરિકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. સિબ્બલે વધુમાં કહ્યું કે જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવવામાં આવી હતી, ત્યારે આવો કોઈ અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો. સિબ્બલ કલમ 370 નાબૂદ કરવાને પડકારનારા નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન વતી હાજર થયા હતા.
સિબ્બલે સંસદની સત્તા પર પણ સવાલ ઉઠાવ્યો
સિબ્બલે કહ્યું કે સંસદે જમ્મુ – કાશ્મીરમાં લાગુ બંધારણની એક જોગવાઈને એકપક્ષીય રીતે બદલતા કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કોર્ટ માટે સૌથી મોટો પ્રશ્ન એ નક્કી કરવાનો છે કે શું ભારત સરકાર આવું કરી શકે ? સિબ્બલે જમ્મુ – કાશ્મીરની બંધારણ સભાની ગેરહાજરીમાં કલમ 370ને નાબૂદ કરવાની સંસદની સત્તા પર વારંવાર સવાલ ઉઠાવતા કહ્યું કે માત્ર બંધારણ સભાને જ કલમ 370 નાબૂદ કરવાની અથવા તેમાં સુધારાની ભલામણ કરવાની સત્તા છે. 1957માં બંધારણ સમિતિની મુદત પૂરી થઈ ત્યારથી જમ્મુ – કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણીય જોગવાઈને કાયમી ગણવામાં આવી હતી.
સિબ્બલની દલીલોથી CJI ચંદ્રચુડ પ્રભાવિત ન થયા
બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે. સીજેઆઈ ચંદ્રચુડ સિબ્બલની દલીલોથી પ્રભાવિત થયા ન હતા અને કહ્યું હતું કે બંધારણીય લોકશાહીમાં જાહેર અભિપ્રાય નક્કી કરવાનું કામ સ્થાપિત સંસ્થાઓ દ્વારા થવું જોઈએ. તમે બ્રેક્ઝિટ જનમત જેવી પરિસ્થિતિની કલ્પના કરી શકતા નથી. જ્યારે બેન્ચ સિબ્બલના એ મત સાથે સંમત હતી કે બ્રેક્ઝિટ એક રાજકીય નિર્ણય હતો, પરંતુ, બેન્ચે કહ્યું કે આપણા જેવા બંધારણમાં લોકમતનો કોઈ પ્રશ્ન જ નથી. સિબ્બલે અગાઉના રાજ્ય જમ્મુ – કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાના કેન્દ્રના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે બંધારણ તેની મંજૂરી આપતું નથી.
Advertisement