લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 19 લોકોના મોત થયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, વરસાદને કારણે ઘણાં જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કમિશનરની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને ડૂબી જવાને લગતી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં હરદોઈમાં 4, કન્નૌજમાં 2 અને દેવરિયા, કાનપુર શહેર, રામપુર, સંભલ અને ઉન્નાવમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
Advertisement
Advertisement
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લાઓમાં મુરાદાબાદ, સંભલ, કન્નૌજ, રામપુર, હાથરસ, બારાબંકી, કાસગંજ, બિજનૌર, અમરોહા, બહરાઈચ, લખનૌ, બદાનુ, મૈનપુરી, હરદોઈ, ફિરોઝાબાદ, બરેલી, શાહજહાંપુર, કાનપુર, સીતાપુર , ફરુખાબાદ, લખીમપુર ખીરી અને ફતેહપુરમાં 40 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પ્રદેશમાં 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે, ત્યારબાદ 17 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ પડશે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના પશ્ચિમ ભાગમાં 17મી સુધી વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી વીજળી પડવાના ભય અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે બારાબંકીમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.
ઉન્નાવથી પ્રાપ્ત સમાચાર અનુસાર હસનગંજના એસડીએમ નવીન ચંદ્રે જણાવ્યું કે હસનગંજના ઉન્નાવના ઘણાં વિસ્તારોમાં વીજળી પડવાથી 200 ઘેટાંના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે 10 જિલ્લાના 19 તાલુકા પૂર અસરગ્રસ્ત થયા છે. જ્યારે 173 ગામોના 55 હજારથી વધુ લોકોને અસર થઈ છે.
દરમિયાન, સતત વરસાદના કારણે, સત્તાવાળાઓના આદેશને પગલે શાળાઓ બંધ કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણીને પગલે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં તમામ શાળાઓને સોમવારે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. બીજી તરફ, હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે.
Advertisement