દિલ્હી: મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ મામલામાં નિર્ણય આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર મનાઈ ફરમાવી દીધી છે. અપીલ પેન્ડિંગ રહેવા સુધી સજા પર રોક લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય નક્કી થઈ જશે. આ કેસની સુનાવણી જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
આ અગાઉ રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. તમામ પક્ષોને દલીલો માટે 15-15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. રાહુલના વકીલે કહ્યું કે ફરિયાદીની અસલી અટક મોદી નથી. તેમણે પાછળથી પોતાની અટક બદલી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે અસાધારણ આદેશની માંગ કરી રહ્યા છો. તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટે ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું કે ટ્રાયલ કોર્ટના આદેશની અસર વ્યાપક છે. તેનાથી ન માત્ર રાહુલ ગાંધીનો જાહેર જીવનમાં ચાલુ રહેવાનો અધિકાર પ્રભાવિત થયો, પરંતુ તેમને ચૂંટી કાઢનારા મતદારોના અધિકાર પર પણ અસર પડી. ‘મોદી’ અટક ટિપ્પણીના કેસમાં, સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષી ઠેરવવાના આદેશ પર સ્ટે મૂકવાની જરૂર છે.
શું છે સમગ્ર મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ ટિપ્પણી સામે ફરિયાદ દાખલ કરી હતી. ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિ માટે દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી.
Advertisement