દિલ્હી: મોદી અટક માનહાનિ કેસમાં આજે સવારે એક અણધાર્યો વળાંક સામે આવ્યો છે. આરોપી રાહુલ ગાંધી માટે આશાનું એકમાત્ર કિરણ એવી સુપ્રીમ કોર્ટમાં પણ ફરિયાદી પૂર્ણેશ મોદી પહોંચી ગયા છે. પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને કહ્યું છે કે કોર્ટ રાહુલ ગાંધીને સાંભળે તે પહેલા મને પણ મારો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. એટલું જ નહીં, તેમણે કોર્ટને એકપક્ષી ચૂકાદો ન સંભળાવવા માટે પણ અપીલ કરી છે.
Advertisement
Advertisement
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરી હતી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ ટિપ્પણી સામે ફરિયાદ નોંધાવી હતી. ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ ગુજરાતના સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિ માટે દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી ન હતી.
ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે ‘મોદી અટક’ ટિપ્પણી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવાની સજા પર મનાઈ ફરમાવવાનો ઇનકાર કરીને સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં અથવા સંસદ સભ્ય (MP)તરીકેના તેમના પદના સસ્પેન્શનને રદબાતલ કરવાની માંગ કરી શકશે નહીં. તે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટનો દોષી ઠેરવવાનો આદેશ યોગ્ય છે, આ આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી સામે ઓછામાં ઓછા દસ ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે.
શું છે કેવિયેટ પિટિશન ?
પૂર્ણેશ મોદી તરફથી દાખલ કરાયેલી અરજી એક પ્રકારનો બચાવ છે. અરજી સાંભળ્યા વિના તેમની વિરુદ્ધ કોઈ પ્રતિકૂળ આદેશ પસાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ અરજી દાખલ કરવામાં આવે છે. ઘણીવખત, કેસમાં પ્રતિવાદીને જાણ કરવામાં આવતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકપક્ષી ચુકાદો સંભળાવે છે. આ સ્થિતિથી બચવા માટે કાયદામાં કેવિયેટ પિટિશનની જોગવાઈ છે. પ્રતિવાદી અરજી દાખલ કરી દે તો તેનો અર્થ એ થાય કે તેને સાંભળ્યા વિના તેની વિરુદ્ધ કોઈ આદેશ પસાર કરવામાં આવશે નહીં.
Advertisement