પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો થયો છે. હકીકતે ટીટીપીના આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના નવ જવાનોના મોતના સમાચાર છે. આ ઘટના પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની છે, જ્યારે એક બાઇક પર આવેલા આત્મઘાતી આતંકવાદીએ સેનાના કાફલાને ઉડાવી દીધો હતો. આ વિસ્ફોટમાં પાકિસ્તાની સેનાના 9 સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેનાએ આ જાણકારી આપી છે. જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી કાર સાથે CRPFના કાફલાના વાહનને ટક્કર મારી હતી. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા.
Advertisement
Advertisement
ટીટીપીએ હુમલાની જવાબદારી લીધી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં ગુરુવારે એક બાઇક સવાર આત્મઘાતી બોમ્બરે સેનાના કાફલાને નિશાન બનાવ્યું હતું, એમ પાકિસ્તાન આર્મીની ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)શાખાએ જણાવ્યું હતું. હુમલાખોરે તેની બાઇક કાફલાના એક વાહન સાથે અથડાવી દીધી હતી. તેના કારણે એક પ્રચંડ વિસ્ફોટ થયો અને વાહનમાં સવાર નવ સૈનિકો માર્યા ગયા અને અન્ય પાંચ ઘાયલ થયા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
વડાપ્રધાને ઘટના પર શોક વ્યક્ત કર્યો
ઘટના પછી, સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓએ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલા માટે જવાબદાર લોકોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકડે આ આતંકવાદી હુમલાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક સમયથી આતંકવાદી ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. પાકિસ્તાનમાં ખાસ કરીને TTP દ્વારા ઘણાં મોટા આતંકી હુમલા કરવામાં આવ્યા છે.
TTP દ્વારા પાકિસ્તાનમાં ઘણા મોટા આતંકી હુમલા
ટીટીપી ઘણાં આતંકવાદી સંગઠનોનું એક જૂથ છે, જેની સ્થાપના વર્ષ 2007માં કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વામાં આ આતંકવાદી સંગઠનનો ઘણો પ્રભાવ છે અને અહીં ઘણાં આતંકી હુમલા પાછળ TTPનો હાથ છે. ગયા મહિને ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ ચોકી પર ટીટીપી આતંકવાદીઓએ કરેલા હુમલામાં બે પોલીસકર્મી માર્યા ગયા હતા. 30 જાન્યુઆરીએ, એક આત્મઘાતી બોમ્બરે પેશાવરની એક મસ્જિદમાં બપોરે નમાજ દરમિયાન વિસ્ફોટ કર્યો હતો, જેમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2014 માં પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર ટીટીપીના હુમલામાં 130 થી વધુ વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા.
Advertisement