ફેબ્રુઆરી 2019 માં, પુલવામા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની ફરજ પાડી હતી. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી. આ નિર્ણય સાથે, જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણપણે દેશના બાકીના ભાગોમાં વિલિન થઈ ગયું છે, એમ તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના આરોપોનો પણ જવાબ આપ્યો અને કહ્યું કે આ સાચું છે કે કલમ 370 હટાવી દેવામાં આવી છે. પરંતુ તેનાથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત થઈ છે.
Advertisement
Advertisement
કલમ 35Aથી લોકો સાથે ભેદભાવ થતો હતોઃ ચીફ જસ્ટિસ
આ દરમિયાન તેમણે કલમ 35Aનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરના લોકો વચ્ચે ભેદભાવ કરે છે. ત્યાં રહેતા લાખો લોકો મતદાન, શિક્ષણ અને સમાન રોજગારની તકો જેવા મૂળભૂત અધિકારોથી પણ વંચિત હતા. તેમણે કહ્યું કે ચીફ જસ્ટિસે પણ સ્વીકાર્યું છે કે કલમ 35Aથી લોકો સાથે ભેદભાવ થાય છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 5 ઓગસ્ટ 2019ના નિર્ણયને યોગ્ય ગણાવતા કહ્યું કે ત્યારથી અત્યાર સુધી બંધારણનું ઉલ્લંઘન થયું હોય એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પીડીપીએ કેન્દ્રના નિર્ણય સામે અપીલ દાખલ કરી
રાજ્યની બે મુખ્ય પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ કેન્દ્રના નિર્ણય સામે અપીલ દાખલ કરી છે. બંને પક્ષોનું કહેવું છે કે આનાથી રાજ્યની સ્વાયત્તતા ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સત્ય એ છે કે કલમ 370 હટાવ્યા પહેલાં લોકોને ઘણાં મૂળભૂત અધિકારો ન હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ પક્ષોએ હંમેશા જમ્મુ-કાશ્મીરના ગૌરવના નામે લોકોને તેમના અધિકારોથી વંચિત રાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જાને રદ કરવાના કેન્દ્રના પગલાંની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. કેન્દ્રના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 20 અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવેલી છે. અગાઉ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે જમ્મુ – કાશ્મીરના સમગ્ર પ્રદેશમાં “અભૂતપૂર્વ” શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જોવા મળી છે. કેન્દ્રએ કહ્યું કે આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત બની ગઈ છે. શિક્ષણનો અધિકાર કાયદો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત આપતા કેન્દ્રીય કાયદાઓ પણ અમલમાં છે.
Advertisement