દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવા માટે અટલ સ્મારક પહોંચ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને બીજેપીના અન્ય નેતાઓ પણ હાજર હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, એનસીપી નેતા પ્રફુલ પટેલ, કેન્દ્રીય મંત્રી અને અપના દળ (સોનીલાલ)ના નેતા અનુપ્રિયા પટેલ અને હમના જીતન રામ માંઝી સહિત એનડીએના નેતાઓએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિએ ‘સદૈવ અટલ’ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Advertisement
Advertisement
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું, “હું ભારતના 140 કરોડ લોકો સાથે અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો. તેમણે આપણા દેશની પ્રગતિને આગળ વધારવા અને તેને વિવિધ ક્ષેત્રોમાં તેને 21મી સદીમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે ઘણાં લોકો અહીં શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે. અમારા એનડીએ સહયોગીઓ પણ અહીં મોટી સંખ્યામાં આવ્યા કારણ કે તેમનું વ્યક્તિત્વ વિશાળ હતું. આ ઉપરાંત, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે અટલજી રાષ્ટ્રીય રાજનીતિના શિખર પુરુષ રહ્યા છે. ભાજપને જે રાષ્ટ્રીય સેવાની તક મળી છે તેમાં અટલજીનું યોગદાન અવિસ્મરણીય છે. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું કે અટલજી આપણા બધા માટે પ્રેરણારૂપ હતા. તેમના કારણે જ અમે અહીં સુધી પહોંચ્યા છીએ.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અટલજી કરોડો દિલો પર રાજ કરતા હતા. ઘણી પેઢીઓએ તેમની પાસેથી પ્રેરણા લીધી. અનેક નેતાઓએ અહીં પહોંચીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સિવાય તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપના નેતૃત્વમાં એનડીએમાં સહયોગીઓની સંખ્યામાં વધારો થયો છે. અમે તેમની સાથે કામ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને PM મોદીને જીતાડીશું… 2024માં જ્યારે અમને ત્રીજી વખત તક મળશે, ત્યારે અમે સમગ્ર દેશમાં વિકાસની લહેર લાવીશું.
Advertisement