કેનેડા, યુકે અને અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની ઝેર ફેલાવા લાગ્યું છે. ઓસ્ટ્રેલિયામાં પણ ભારતના હાઈ કમિશનર અને કોન્સુલ જનરલ કચેરી પર ખાલિસ્તાન તરફી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં ભારતીય રાજદૂતોની તસવીરો પણ છે. આ રાજદ્વારીઓને ખાલિસ્તાની નેતા નિજ્જરના હત્યારા ગણાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
પોસ્ટરો પર રાજદૂતોના ફોટા
આ ખાલિસ્તાન તરફી પોસ્ટરોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતના રાજદૂત મનપ્રીત વોહરા અને કોન્સ્યુલ જનરલ ડૉ. સુશીલ કુમારની તસવીરો છે. તેની સાથે એક AK-47 બતાવવામાં આવી છે જે ‘કીલ ઈન્ડિયા’ પર હુમલો કરતી જોવા મળે છે. મેલબોર્નથી લઈને સિડની અને કેનબેરા સુધીના કેટલાક મંદિરોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે ભારતે કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા ભાગીદાર દેશોને ખાલિસ્તાનીઓને જગ્યા ન આપવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ કટ્ટરપંથી ઉગ્રવાદી વિચારધારા તેમના સંબંધો માટે સારી નથી. ઓસ્ટ્રેલિયા આ વર્ષની શરૂઆતથી જ ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો ગઢ બની ગયું છે. 29 જાન્યુઆરીએ અહીં મેલબોર્નમાં ખાલિસ્તાન સમર્થકો અને ભારતના સમર્થકો વચ્ચે વિખવાદ થયો હતો. પંજાબની આઝાદી માટે લોકમત સંગ્રહના નામે ખાલિસ્તાની સમર્થકો એકઠા થયા હતા.
કેનેડા – ઓસ્ટ્રેલિયામાં 8 જુલાઈએ રેલી
ખાલિસ્તાનીઓએ કેનેડામાં 8 જુલાઈએ બપોરે 12:30 વાગ્યે રેલીનું આયોજન કર્યું છે, જેને ‘ખાલિસ્તાન ફ્રીડમ રેલી’ નામ આપવામાં આવ્યું છે. રેલી ગ્રેટ પંજાબ બિઝનેસ સેન્ટરથી શરૂ થશે અને ભારતીય દૂતાવાસ સુધી જશે. આ રેલીનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં ખાલિસ્તાન સમર્થક અને આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ‘શહીદ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે, જ્યારે બે ભારતીય રાજદ્વારીઓને ‘હત્યારા’ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ પોસ્ટરની નીચે બે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. 8 જુલાઈએ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ ખાલિસ્તાનીઓ ભારતીય દૂતાવાસ તરફ કૂચ યોજવાના છે.
રાજદૂતોની સુરક્ષા પ્રત્યે કેનેડા ગંભીર
દરમિયાન, કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ ટ્વીટ કર્યું, “કેનેડા વિયેના સંમેલન હેઠળ રાજદૂતોની સુરક્ષાની તેની જવાબદારીઓને ગંભીરતાપૂર્વક લે છે, 8 જુલાઈના વિરોધ પ્રદર્શન માટે ઓનલાઈન પ્રસારિત થતી પ્રચાર સામગ્રી અંગે કેનેડા ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે.” તેમણે આ ઘટનાની નિંદા કરતા તેને અસ્વીકાર્ય ગણાવી હતી.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ ચાંપી
મીડિયા અહેવાલો અનુસાર, કેટલાંક ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ 2 જુલાઈ, રવિવારના રોજ સવારે 1.30 થી 2.30 વાગ્યાની વચ્ચે સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ વાણિજ્ય દૂતાવાસમાં આગ લગાવી દીધી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી. ખાલિસ્તાનીઓએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અમેરિકી સરકારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં આગ ચાંપવાની ઘટનાની સખત નિંદા કરી હતી અને ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે અમેરિકા તરફથી પગલાં લેવાની વાત પણ કરવામાં આવી છે. જ્યારે, કેનેડાના વિદેશ મંત્રી એ આ ઘટના બાદ નિવેદન જારી કરીને આવા વિરોધને અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
Advertisement