પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે દુનિયાને અરીસો બતાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ ગમે તે સ્વરૂપમાં હોય, આપણે સાથે મળીને તેની સામે લડવું પડશે. કેટલાંક દેશોએ તેમની નીતિઓમાં સરહદ પારના આતંકવાદનો સમાવેશ કર્યો છે. આ દેશો આતંકવાદીઓને આશ્રય આપે છે. આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સહિત અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
Advertisement
Advertisement
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લાં 2 દાયકામાં SCO સમગ્ર એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અમે અમારા પ્રયાસો બે મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત કર્યા છે, પહેલો વસુધૈવ કુટુંબકમ અને બીજો સિક્યોર એટલે કે સુરક્ષા, આર્થિક વિકાસ અને અન્ય અમારા SCOનું વિઝન છે. ભારતે આ અભિગમ સાથે SCOમાં સહયોગના 5 નવા સ્તંભ બનાવ્યા છે. સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશ અને અન્ય. વૈશ્વિક પરિસ્થિતિ એક નિર્ણાયક તબક્કામાં છે, વિવાદો, તણાવ અને રોગચાળાથી ઘેરાયેલા વિશ્વના તમામ દેશો માટે ફૂડ, ફ્યુઅલ અને ફર્ટિલાઈઝરની કટોકટી એક મોટો પડકાર છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને વિચારવું જોઈએ કે શું આપણે એક સંગઠન તરીકે આપણા લોકોની અપેક્ષાઓનો સામનો કરવામાં સક્ષમ છીએ? આ સંદર્ભમાં ભારત SCOના સુધારા અને આધુનિકીકરણને સમર્થન આપે છે. કેટલાંક દેશો તેમની નીતિઓના સાધન તરીકે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરે છે. SCOએ આવા દેશોની ટીકા કરતાં અચકાવું જોઈએ નહીં. આવા ગંભીર વિષય પર બેવડા ધોરણોને કોઈ સ્થાન ન હોવું જોઈએ. આપણે આતંકવાદી ધિરાણ સહાય સામે લડવા માટે સહયોગ વધારવો જોઈએ.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાન અંગે ભારતની ચિંતાઓ અને અપેક્ષાઓ મોટાભાગના SCO દેશો જેવી જ છે. અફઘાનિસ્તાનના લોકોના કલ્યાણ માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ. અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાયતા, સર્વસમાવેશક સરકારની રચના, આતંકવાદ અને માદક દ્રવ્યોની હેરાફેરી સામેની લડાઈ અને મહિલાઓ, બાળકો અને લઘુમતીઓના અધિકારોને સુનિશ્ચિત કરવા એ આપણી સંયુક્ત પ્રાથમિકતા છે. ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો છે.
Advertisement