લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકર, બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહ સહિત ઘણાં ક્રિકેટરો હાજર રહ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ ક્રિકેટ સ્ટેડિયમના મોડલનું નિરીક્ષણ કર્યું હતું અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું એવા દિવસે કાશી આવ્યો છું જ્યારે ચંદ્રમાના શિવ શક્તિ બિંદુ પર ભારતને પહોંચવાનો એક મહિનો પૂરો થઈ રહ્યો છે. શિવ શક્તિ એટલે કે એ સ્થળ જ્યાં ગયા મહિનાની 23 તારીખે આપણું ચંદ્રયાન ઉતર્યું હતું. શિવ શક્તિનું એક સ્થાન ચંદ્ર પર છે અને બીજું સ્થાન મારી કાશીમાં છે.
Advertisement
Advertisement
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ માત્ર વારાણસી માટે જ નહીં પરંતુ પૂર્વાંચલના યુવાનો માટે એક વરદાનરૂપ સાબિત થશે. આ સ્ટેડિયમ જ્યારે બનીને તૈયાર થઈ જશે, ત્યારે તેમાં 30,000થી વધુ લોકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે. જ્યારથી આ સ્ટેડિયમની તસવીરો સામે આવી છે તેને જોઈને દરેક કાશીવાસી ગદગદ થઈ ગયા છે. મહાદેવની આ નગરીમાં આ સ્ટેડિયમ અને તેની ડિઝાઇન સ્વયં મહાદેવને જ સમર્પિત છે. આ સ્ટેડિયમ પર ઘણી ક્રિકેટ મેચો રમાશે.
સમારોહને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિશ્વ આજે ક્રિકેટ દ્વારા ભારત સાથે જોડાઈ રહ્યું છે. વિશ્વના નવા-નવા દેશો ક્રિકેટ રમવા માટે આગળ આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આગામી દિવસોમાં ક્રિકેટ મેચોની સંખ્યામાં પણ વધારો થશે અને જ્યારે મેચોની સંખ્યા વધશે ત્યારે નવા સ્ટેડિયમોની જરૂર પડશે, ત્યારે બનારસનું આ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આ માંગને પૂર્ણ કરશે. આ સ્ટેડિયમ આખા પૂર્વાંચલનો ચમકતો સિતારો બનવાનો છે.
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, આજે જે સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે સ્ટેડિયમ માત્ર ઈંટો અને કોંક્રીટથી બનેલું એક મેદાન નહીં પરંતુ ભવિષ્યના ભારતનું એક પ્રતીક બનશે. 9 વર્ષ પહેલાની સરખામણીમાં આ વર્ષે કેન્દ્રીય રમતગમત બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. ખેલો ઈન્ડિયા કાર્યક્રમના બજેટમાં તો ગયા વર્ષની સરખામણીમાં લગભગ 70% વધારો કરાયો છે. આજથી એશિયન ગેમ્સની શરૂઆત થઈ રહી છે અને હું આ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા તમામ ભારતીય ખેલાડીઓને મારી શુભેચ્છા પાઠવું છું.
Advertisement