મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ કરાવવાના મામલામાં વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. ચોમાસુ સત્રની શરૂઆત પહેલા પત્રકારોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મણિપુરમાં બનેલી ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષીને બક્ષવામાં આવશે નહીં. મારા હૃદયમાં ઘણો ગુસ્સો અને પીડા છે. હું દેશને ખાતરી આપું છું કે કોઈ પણ દોષીને બક્ષવામાં આવશે નહીં.
Advertisement
Advertisement
પીએમ મોદીએ કહ્યું, મારું દિલ દર્દથી ભરાઈ ગયું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મણિપુરની જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ગુનેગાર કેટલાં અને કોણ છે તે અલગ બાબત છે, પરંતુ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરે. આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે આકરાં પગલાં લેવામાં આવે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે. 140 કરોડ દેશવાસીઓનું માથું શરમથી ઝુકી ગયું છે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે આ દેશના કોઈપણ ખૂણામાં, કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકારણ અને વાદ-વિવાદથી અલગ કાયદો અને વ્યવસ્થાનું મહત્વ અને મહિલાઓનું સન્માન છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. કાયદો તેની પુરી તાકાત અને કડકાઈથી એક પછી એક પગલા ભરશે. મણિપુરની આ દીકરીઓ સાથે જે થયું છે તેને ક્યારેય માફ કરવામાં આવશે નહીં.
સંસદનું સત્ર સુચારુ રીતે ચલાવવા તમામ પક્ષોને સહયોગની અપીલ
આ અવસરે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ચોમાસુ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર સંકલ્પો અને પવિત્ર કાર્યો માટે શ્રાવણ માસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મને ખાતરી છે કે તમામ સાંસદો સાથે મળીને આ સત્રનો જનહિતમાં મહત્તમ ઉપયોગ કરશે. આવા ઘણાં કાયદા બનાવવા અને તેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે, જે સંસદ અને દરેક સાંસદની જવાબદારી છે. ચર્ચા જેટલી વધુ થાય છે તેટલા જાહેર હિતમાં દૂરગામી પરિણામો આપતાં સારા નિર્ણયો લેવામાં આવે છે.
Advertisement