વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ સામે લડવા માટે વૈશ્વિક સિસ્ટમ બનાવવી જરૂરી બની ગઈ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકાર કાયદાનો મુસદ્દો સરળ અને ભારતીય ભાષામાં તૈયાર કરવા વિષે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાયદાઓમાં વપરાતી ભાષા ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Advertisement
Advertisement
કાયદાની વૈશ્વિક સિસ્ટમ બનાવવાની જરૂર
પીએમ મોદીએ કહ્યું કે સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગ સામે લડવા માટે વૈશ્વિક સિસ્ટમ બનાવવી જરૂરી બની ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે માત્ર એક સરકાર આ કરી શકે નહીં અને તેના માટે વિવિધ દેશોની કાયદાકીય પ્રણાલીઓએ સાથે મળીને કામ કરવું પડશે. પીએમ મોદીએ ઉમેર્યું કે જ્યારે ખતરો વૈશ્વિક હોય, ત્યારે તેનો સામનો કરવાની પદ્ધતિઓ પણ વૈશ્વિક હોવી જોઈએ.
દેશના લોકો સમજી શકે તેવી ભાષામાં કાયદા હોવા જોઈએ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ‘અમારી સરકાર વિચારી રહી છે કે કાયદાને બે રીતે રજૂ કરવા જોઈએ. જેમાં એક ડ્રાફ્ટમાં તમે જે ભાષાનો ઉપયોગ કરો છો તેવી ભાષા હશે અને બીજા ડ્રાફ્ટમાં દેશનો સામાન્ય માણસ સમજી શકે એવી ભાષા હશે. લોકોને લાગવું જોઈએ કે કાયદો તેમના માટે છે. વડાપ્રધાને કહ્યું કે આપણા દેશમાં કાયદાનો મુસદ્દો અઘરી ભાષામાં તૈયાર કરવાની આદત રહી છે.
પીએમ મોદીએ કાનૂની સમુદાયની પ્રશંસા કરી
કાનૂની સમુદાયની પ્રશંસા કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ન્યાયતંત્ર અને બાર લાંબા સમયથી ભારતની ન્યાય વ્યવસ્થાના રક્ષક છે. કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા ઘણાં લોકોએ દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાને કહ્યું કે મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ વકીલ હતા. પ્રધાનમંત્રીએ મહિલા અનામત, જી-20 અને ચંદ્રયાન મિશનની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બનવાના લક્ષ્યને હાંસલ કરવા સખત મહેનત કરી રહ્યું છે. પીએમએ વધુમાં કહ્યું કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો તેમાં તટસ્થ ન્યાયની ભૂમિકા મહત્વની છે.
Advertisement