દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ તેમણે DU કમ્પ્યુટર સેન્ટર અને ‘ફેકલ્ટી ઑફ ટેક્નોલોજી’ બિલ્ડિંગ તેમજ એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે, દેશ જ્યારે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દિલ્હી યુનિવર્સિટીએ તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. કોઈપણ દેશ હોય, તેની યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેની સિદ્ધિઓનું સાચું પ્રતિબિંબ હોય છે. ડીયુની 100 વર્ષની સફરમાં પણ ઘણાં ઐતિહાસિક પડાવ આવ્યા હતા.
Advertisement
Advertisement
આ ઉપરાંત તેમણે કહ્યું કે નિષ્ઠા ધૃતિ સત્યમ, યુનિવર્સિટીનું આ સૂત્ર તેના દરેક વિદ્યાર્થીઓના જીવનમાં માર્ગદર્શક દીવા જેવું છે. જેની પાસે જ્ઞાન છે તે સુખી છે, તે જ બળવાન છે. હકીકતમાં જ્ઞાન ધરાવનાર જ જીતે છે. એક સમય હતો જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં માત્ર ત્રણ કોલેજ હતી, અત્યારે 90થી વધુ કોલેજો છે. એક સમય હતો જ્યારે ભારત નબળાં અર્થતંત્રોની યાદીમાં આવતું હતું અને આજે તે વિશ્વની ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. આજે ડીયુમાં ભણતી છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધુ છે.
દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સત્રને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 25 વર્ષ પછી દેશ જ્યારે તેની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ડીયુ તેની સ્થાપનાના 125 વર્ષની ઉજવણી કરશે. ત્યારે અમારું લક્ષ્ય ભારતની આઝાદી હતું. હવે અમારું લક્ષ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું છે. ગત સદીના ત્રીજા દાયકાએ સ્વતંત્રતા સંગ્રામને નવી ગતિ આપી હતી, હવે આ સદીનો આ ત્રીજો દાયકો ભારતની વિકાસયાત્રાને નવી ગતિ આપશે.
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે આજે દેશભરમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટી અને કોલેજો બની રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં, IIT, IIM, NIT, AIIMS જેવી સંસ્થાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. આ તમામ સંસ્થાઓ નવા ભારતના નિર્માણ ખંડ બની રહી છે. 2014માં QS વર્લ્ડ રેન્કિંગમાં માત્ર 12 ભારતીય યુનિવર્સિટીઓ હતી, પરંતુ આજે આ સંખ્યા વધીને 45 થઈ ગઈ છે. આપણી શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થી અધ્યાપક ગુણોત્તર અને પ્રતિષ્ઠાના સંદર્ભમાં આપણી સંસ્થાઓમાં ઝડપથી સુધારો કરી રહી છે.
Advertisement