ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ગંભીર ટ્રેન અકસ્માત થયો હતો. શુક્રવારે સાંજે બહાનાગા રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન નજીકના ટ્રેક પરથી પસાર થતી વખતે યશવંતપુરથી હાવડા જતી એક્સપ્રેસ ટ્રેન નીચે ઉતરી પડેલી બોગી સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે, લગભગ 900 લોકો ઘાયલ છે.
Advertisement
Advertisement
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં હજુ પણ બચાવ કામગીરી ચાલુ છે. ચાલી રહેલા બચાવ અને રાહત કામગીરીમાં અત્યાર સુધીમાં અનેક ઘાયલોને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દરમિયાન, પીએમ મોદીએ ઓડિશામાં સર્જાયેલા ભયાનક ટ્રેન અકસ્માતને લઈને વિશેષ બેઠક બોલાવી છે.
રેલવે મંત્રાલયે વળતરની જાહેરાત કરી
ઓડિશામાં આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. જ્યારે 900 થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી ઘણાંની હાલત ગંભીર છે જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિજનોને વળતર સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સિવાય આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. દુર્ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
પીએમઓએ મદદની જાહેરાત કરી
પીએમ મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. પીએમઓ ઓફિસે આ અંગે ટ્વિટ કર્યું છે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેકના નજીકના સગાને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
રેલવે મંત્રીના રાજીનામાની માંગ
ટ્રેન દુર્ઘટના બાદ રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આક્ષેપોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોએ તેમના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે રેલ્વે મંત્રીના રાજીનામાની માંગ કરી છે. આ પહેલા સીપીઆઈ સાંસદ બિનોય વિશ્વમે પણ કહ્યું હતું કે અકસ્માતની જવાબદારી લેતા રેલ્વે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
Advertisement