વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દ્વારા યોજાનારી બ્રજમંડળ યાત્રાની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. હરિયાણાના નૂંહ જિલ્લા પ્રશાસને આ ધાર્મિક યાત્રાનું આયોજન કરવાની મંજૂરી આપી નથી. પોલીસે કહ્યું કે અધિકારીઓએ હરિયાણાના નૂંહમાં 28 ઓગસ્ટે વિહિપની બ્રજમંડળ જળાભિષેક યાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળ્યા બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
મહાપંચાયતમાં ફરી યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય
નૂંહ જિલ્લા વહીવટીતંત્રે યાત્રાના આયોજકો દ્વારા આપવામાં આવેલી પરવાનગી માટેની અરજીને ફગાવી દીધી હતી. આ નિર્ણય 13 ઓગસ્ટના રોજ પલવલના પોંડારી ગામમાં આયોજિત હિંદુ સંગઠનોની ‘મહાપંચાયત’ના એક અઠવાડિયા પછી લેવામાં આવ્યો હતો. ‘મહાપંચાયત’માં નૂંહના નલહર મંદિરથી વિહિપની ધાર્મિક યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિહિપ નેતાએ કહ્યું- ધાર્મિક યાત્રા માટે પરવાનગીની જરૂર નથી
નૂંહના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ નરેન્દ્ર બિજારનિયાએ પુષ્ટિ કરી કે યાત્રાનું આયોજન કરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દેવામાં આવી છે. આ બાબતે સ્થાનિક વિહિપ નેતા દેવેન્દ્ર સિંહે કહ્યું કે પરવાનગી ન મળી હોવા અંગે મને કોઈ માહિતી નથી. આ ઉપરાંત, તેમણે કહ્યું કે ધાર્મિક યાત્રા માટે કોઈ પરવાનગીની જરૂર નથી.
પલવલમાં યોજાયેલી મહાપંચાયતમાં આ નિર્ણય લેવાયો
નૂંહ હિંસાના 15 દિવસ પછી 13 ઓગસ્ટે પલવલમાં મહા પંચાયત યોજાઈ હતી. ત્યારબાદ 28 ઓગસ્ટે નૂંહમાં બ્રજમંડળ યાત્રા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, મહાપંચાયતમાં પણ અનેક માંગણી મૂકવામાં આવી હતી. તેમાં એનઆઈએ દ્વારા હિંસાની તપાસ કરાવવી અને નૂંહને ગૌહત્યા મુક્ત જિલ્લો જાહેર કરવાનો સમાવેશ થાય છે. આ ‘મહાપંચાયત’માં પલવલ, ગુરુગ્રામ અને નજીકના અન્ય સ્થળોના લોકોએ ભાગ લીધો હતો અને આ યાત્રા નૂંહના નલહદથી શરૂ થશે અને જિલ્લાના ફિરોઝપુર ઝિરકાના ઝીર અને શિંગાર મંદિરોએ થઈને પસાર થશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. આ એ જ રૂટ છે જ્યાંથી 31મી જુલાઈએ યાત્રા નીકળી હતી અને બાદમાં હિંસા ફાટી નીકળી હતી.
Advertisement