ભારતીય રેલવે દ્વારા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે અંતર્ગત રેલવેએ સૈન્યની અગ્નિપથ યોજના હેઠળ સેવાનિવૃત્ત થનારા અગ્નિવીરોને તેના જુદા જુદા વિભાગોમાં આવતી સીધી ભરતીમાં નોન ગેઝેટેડ પોસ્ટ પર 15 ટકા અનામતનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી અનુસાર અગ્નિવીરોને વયમર્યાદા અને શારીરિક કસોટીમાં પણ છૂટ અપાશે, તેમજ રેલવે સુરક્ષા દળમાં પણ અગ્નિવીરો માટે એક અનામત નીતિ હેઠળ વિચારણા અન્ડર ઓબઝર્વેશન હેઠળ છે.
વિવિધ રિપોર્ટમાં જણાવાયું છે કે અગ્નિવીરોને લેવલ-1 અને લેવલ-2ના પદો પર ક્રમશઃ 10 ટકા અને 5 ટકા હોરિઝોન્ટલ અનામત અપાશે. અગ્નિવીરોની પહેલી બેચને નક્કી વયમર્યાદાથી 5 વર્ષ, જોકે પછીની બેચને 3 વર્ષની છૂટ અપાશે. રેલવે બોર્ડે તમામ જનરલ મેનેજરને આ અંગે પત્ર પણ જારી કર્યો છે.
એ નોંધનીય છે કે અનેક કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય સરકારો અને ઉદ્યોગ એકમો સમાન નોકરી અનામત યોજનાઓના માધ્યમથી પૂર્વ અગ્નિવીરોને યોગ્ય કારકિર્દીનો વિકલ્પ આપવા પ્રયાસ કરી રહ્યા છે. જે અગ્નિવીરોએ સફળતાપૂર્વક સેવા પૂર્ણ કરી હોય તેમને નોન ગેઝેટેડ પે સ્કેલ વિરુદ્ધ ઓપન માર્કેટમાં કર્મચારીઓની ભરતી માટે રેલવે ભરતી એજન્સીઓ દ્વારા જારી સેન્ટ્રલ રોજગાર નોટિફિકેશન વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરી શકશે.
Advertisement