પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂસેવાલા હત્યા કેસમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પાકિસ્તાનથી આવ્યા હતા. પાકિસ્તાનના હામીદ નામના શસ્ત્રોના દાણચોરે આ હથિયારો પૂરા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હામીદ દુબઈમાં રહે છે.
Advertisement
Advertisement
ગયા વર્ષે 29 મેના રોજ મુસેવાલીની હત્યા થઈ
29 વર્ષીય મુસેવાલાને ગયા વર્ષે 29 મેએ ધોળાદહાડે માનસા જિલ્લામાં તેમના વતન ગામ નજીક ગેંગસ્ટરોએ ગોળી મારી દીધી હતી, સરકારે સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કર્યો તેના 24 કલાકથી પણ ઓછા ગાળામાં મુસેવાલા અને તેમના બે સાથીઓ પર 2 મિનિટ અને 30 સેકન્ડ સુધી સતત ગોળીબાર થતો રહ્યો. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે આ ગુનામાં AK-47 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એસોલ્ટ રાઇફલ AN-94 થી ફાયરિંગ કરાયું
મૂસેવાલા પર જે ત્રણ હથિયારોથી ગોળીઓ ચલાવવામાં આવી હતી તેમાં એક એસોલ્ટ રાઇફલ AN-94 પણ સામેલ હતી. આ હથિયારના ઉપયોગથી ગુપ્તચર એજન્સીઓને પણ આશ્ચર્ય થયું હતું કારણ કે આ એસોલ્ટ રાઈફલનો ઉપયોગ માત્ર સશસ્ત્ર દળો દ્વારા જ કરવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હામીદે લોરેન્સ બિશ્નોઈ ગેંગના બુલંદશહેરના રહેવાસી ગેંગસ્ટરને હથિયારો સપ્લાય કર્યા હતા.
મુસેવાલા પાસે વિદેશી પિસ્તોલ હતી
સિંગર મુસેવાલા હંમેશા પોતાની સાથે 45 બોરની વિદેશી પિસ્તોલ રાખતા હતા. પરંતુ આરોપીઓએ ગાયકને વિદેશી પિસ્તોલનો ઉપયોગ કરવાની તક સુધ્ધાં આપી ન હતી. આરોપીઓએ પહેલા મુસેવાલાના માથા અને કપાળ પર ગોળી મારી હતી. આરોપીઓએ સિદ્ધુની કાર પર આગળ અને ડ્રાઈવર સાઇડથી સતત ફાયરિંગ કર્યું હતું. મુસેવાલાને માથામાં બે ગોળી, છાતી અને હાથમાં ત્રણ ગોળી વાગી હતી. મુસેવાલાની હત્યાથી લોરેન્સ બિશ્નોઈ આંતરરાષ્ટ્રીય સ્પોટલાઈટમાં આવ્યો હતો. ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લીધી હતી. બિશ્નોઈ ખતરો બની ગયો હોવાનું સુરક્ષા સંસ્થાઓએ આખરે માન્યું હતું.
Advertisement