આ વર્ષે 3 મેના રોજ મણિપુરમાં અનામત અંગે બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. તેના કારણે સમગ્ર રાજ્યમાં હજુ પણ હિંસાના બનાવો બની રહ્યા છે. દરમિયાન, ઇમ્ફાલ ખીણ સ્થિત નાગરિક સમાજ સંગઠનોની સર્વોચ્ચ સંસ્થા કોકોમીના પ્રતિનિધિઓએ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાંથી આસામ રાઇફલ્સને પાછા બોલાવી લેવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ દળ પક્ષપાતપૂર્વક કામ કરી રહ્યું છે. મૈતેઈ જૂથોનું પ્રતિનિધિત્વ કરતી કોઓર્ડિનેટિંગ કમિટી ફોર યુનિટી ઑફ મણિપુર (COCOMI)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના પ્રતિનિધિઓ ગુરુવારે દિલ્હીમાં રાજનાથ સિંહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.
Advertisement
Advertisement
આવેદનપત્રમાં તેમણે દાવો કર્યો હતો કે કુકી જૂથોએ મણિપુર સંકટના નિરાકરણ માટે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરીને સરકારને શરમમાં મૂકી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે સંરક્ષણ મંત્રી સાથે નાર્કો-ટેરરિઝમ, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને તેમની ઓળખની સાથે સાથે ઓપરેશન એગ્રીમેન્ટ સસ્પેન્ડ કરવાના મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
બીજી તરફ, કુકી જૂથ રાજ્ય પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યું છે. ગયા મહિને, રાજ્યના 10 કુકી ધારાસભ્યોએ આદિવાસીઓની સુરક્ષા જોખમમાં આવી શકે છે એમ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યમાંથી આસામ રાઇફલ્સને પાછા ન બોલાવવાની અપીલ કરી હતી.
મણિપુરમાં 3 મેના રોજ વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી, લગભગ 175 લોકો માર્યા ગયા છે અને 1,100 લોકો ઘાયલ થયા છે. બહુમતી મૈતેઈ સમુદાય માટે અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હિંસક અથડામણો શરૂ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ છે અને મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસી છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
Advertisement