મણિપુરમાં છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી સતત શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસાને કારણે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અરજી પર સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે અરજદારને મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા માટે કહ્યું છે.
Advertisement
Advertisement
કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ પહેલેથી જ આ મામલે સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટ નોટિસ જારી કરશે તો હાઈકોર્ટ સુનાવણી પર મનાઈ ફરમાવી દેશે. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં પોતાની દલીલો રજૂ કરવાની મંજૂરી આપી છે.
અરજદારની દલીલ શું હતી ?
અરજદાર વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ શાદાન ફરાસતે કહ્યું કે 14 ઓર્ડર જારી કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 65 દિવસ થઈ ગયા છે. મણિપુરમાં ઈન્ટરનેટ બંધ છે. ઈન્ટરનેટ કેવી રીતે બંધ રાખવું તે અંગે પણ કમિટી વિચારણા કરી રહી છે. હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં એક મહિના પહેલાં અમલી થયેલા ઈન્ટરનેટ પ્રતિબંધને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રતિબંધને યાંત્રિક ગણાવાયો
અરજીમાં ઈન્ટરનેટ પ્રતિબંધને ‘યાંત્રિક’ ગણાવાયો છે. ચોંગથમ વિક્ટર સિંહ અને માયંગબેમ જેમ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ પર 35 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનાથી લોકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાથી વંચિત કરવામાં આવી રહ્યાં છે, જે તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. લોકોને ઈન્ટરનેટની મદદથી વ્યવસાય કે વેપાર કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે, તે લોકોના અધિકારોનું અપમાન છે.
Advertisement