મણિપુરમાં હિંસાના તબક્કાનો અંત આવતો જ નથી. ગઈ મોડી રાત્રે ઈમ્ફાલ શહેરમાં ટોળાં અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. તેમાં બે નાગરિકો ઘાયલ થયા છે. બિષ્ણુપુર જિલ્લાના કાવક્તા અને ચુરાચંદપુર જિલ્લાના કંગવાઈમાં આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ સાથે ટોળાએ ભાજપના નેતાઓના ઘરોને પણ આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા ગુરુવારે રાત્રે ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજનના નિવાસસ્થાને આગ ચાંપી દીધી હતી, જેના કારણે તેને ભારે નુક્સાન થયું હતું.
Advertisement
Advertisement
ટોળાએ ઈરિંગબાઉમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો
પશ્ચિમ ઇમ્ફાલમાં ટોળાએ ઇરિંગબાઉમ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ કોઈ હથિયાર લઈ જઈ શક્યા ન હતા, પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ નવી રણનીતિ બનાવીને તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટોળું ભેગું થતું અટકાવવા માટે, આર્મી, આસામ રાઇફલ્સ અને મણિપુર રેપિડ એક્શન ફોર્સે કમાન સંભાળી અને રાજધાનીમાં સંયુક્ત રીતે મધરાત સુધી મોરચો સંભાળ્યો હતો.
ઇમ્ફાલ પશ્ચિમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષના ઘર પર હુમલો
ઇમ્ફાલ પશ્ચિમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ અધિકારમયુમ શારદા દેવીના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ 1200 લોકોના ટોળાએ કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. કેન્દ્ર સરકાર બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘણાં મોટા નિર્ણયો લીધા છે. તેમના કહેવા પર કેટલાંક લોકોએ પોતાના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા છે. પરંતુ, મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.
સીએમ એ અશાંતિ માટે ઘૂસણખોરોને ઠેરવ્યા જવાબદાર
આ અગાઉ, ગઈકાલે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અશાંતિ માટે ગેરકાયદે ઘૂસણખોરોને જવાબદાર ગણાવ્યા હતા. આ ઉપરાંત, તેમણે મિઝોરમ નેશનલ ફ્રન્ટને મણિપુરના મામલામાં હસ્તક્ષેપ ન કરવાની ચેતવણી પણ આપી હતી. મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે રાજ્યમાં ચાલી રહેલી હિંસા બે સમુદાયો વચ્ચેની લડાઈ નથી. સીએમ બિરેન સિંહે કહ્યું કે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ શાંતિ સ્થાપવા માટે જનતા સાથે સતત વાતચીત કરી રહ્યા છે.
Advertisement